19 July, 2020 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા
કોરોના વાયરસ (COVID-19)નો શિકાર બનેલા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), અભિષેક બચ્ચન (Abhishek Bachchan), ઐશ્વર્યા બચ્ચન (Aishwarya Rai Bachchan) અને આરાધ્યા બચ્ચન (Aradhya Bachchan) નાણાવટી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. આઈસોલેશન વોર્ડમાંથી બિગ બી નિયમિત રીતે સોશ્યલ મીડિયામાં પોસ્ટ શૅર કરતા રહે છે. હાલમાં જ ઐશ્વર્યા તથા આરાધ્યાને પણ નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં. તાજેતરમાં જ મહાનાયકે સોશ્યલ મીડિયા પર પરિવારનો ફોટો પોસ્ટ કરીને ચાહકોનો આભાર માન્યો છે.
અમિતાભ બચ્ચને સોશ્યલ મીડિયા પર અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા સાથેની તસવીર શૅર કરી છે. જેમાં બચ્ચન પરિવારના સભ્યો હાથ ઉપર કરીને ફૅન્સનું અભિવાદન કરી રહ્યાં છે. સાથે જ તેમણે કૅપ્શનમાં લખ્યું છે કે, અમે તમારો પ્રેમ જોઈ શકીએ છીએ...અમે તમારી પ્રાર્થના સાંભળીએ છીએ...અમે હાથ જોડીને તમારો આભાર વ્યક્ત કરીએ છીએ.
બિગ બીની આ પોસ્ટ સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થઈ છે અને ફૅન્સ તેમને જલ્દી સારા થવાના સંદેશા મોકલાવી રહ્યાં છે.
તમને જણાવી દઈએ કે, આજે હોસ્પિટલમાં અમિતાભ અને અભિષેકનો નવમો દિવસ છે. ગયા અઠવાડિયે શનિવારે એટલે કે 11 જૂલાઈએ હળવા લક્ષણો દેખાયા બાદ પિતા-પુત્ર નાણાવટી હૉસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યારે ઐશ્વર્યા અને આરાધ્યા ગત શુક્રવારે એટલે કે 17 જૂલાઈના રોજ હૉસ્પિટલમાં દાખલ થયા હતા. અત્યારે બધાની તબિયત સુધારા પર છે.