24 September, 2019 07:47 PM IST | મુંબઈ
સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને મનોરંજનના સૌથી ઉંચા પુરસ્કારતી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરીને આ વાતની માહિતી આપી છે.
આ મામલે કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરીને કહ્યું છે,'2 પેઢીને પ્રેરણા આપવા બદલ અને મનોરંજન કરવા બદલ અમિતાભ બચ્ચનની સર્વસંમતિથી દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદગી થઈ છે. આ વાતથી આખો દેશ અને આંતરરાષ્ટ્રીય સમુદાય ખુશ છે. મારા તરફથી તેમને ખૂબ ખૂભ શુભકામના'
76 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન ફિલ્મોમાં કામ કરે છે. અમિતાભ બચ્ચનની કરિયરની શરૂઆત 1969માં સાત હિન્દુસ્તાનથી થઈ હતી. ત્યારથી અત્યાર સુધી બિગ બી સંખ્યાબંધ હિટ ફિલ્મો આપી ચૂક્યા છે. આ ઉંમરે પણ તેમની પાસે ફિલ્મોનો ઢગલો છે. અમિતાભ બચ્ચની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો ટૂંક સમયમાં જ તેમની ફિલ્મ સાય રા નરસિમ્હા રેડ્ડી રિલીઝ થવાની છે આ ઉપરાંત તે ઝુંડ, તેરા યાર હૂં મેં, બટરફ્લાય, AB યાનિ CD, બ્રહ્માસ્ત્ર, ચેહરે અને ગુલાબો સિતાબોમાં કામ કરી રહ્યા છે.
ફિલ્મ સાય રા નરસિમ્હા રેડ્ડીનું ટ્રેલર કેટલાક દિવસો પહેલા જ રિલીઝ થયું હતું, જેમાં અમિતાભ બચ્ચન એક ઋષિનું પાત્ર ભજવતા દેખાશે. બિગ બી નાના પડદે પણ સક્રિય છે. તેમનો રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ ખૂબ જ લોકપ્રિય છે. હાલ પણ ટીઆરપીની રેસમાં કૌન બનેગા કરોડપતિ અન્ય શોઝને હરિફાઈ આપી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે દાદાસાહેબ ફાળકે એવોર્ડ સિનેમાનું સૌથી મોટું સન્માન છે અને કલા ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન માટે આપવામાં આવે છે. 2017માં વિનોદ ખન્નાને આ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. તો 2015માં આ એવોર્ડ ભારતકુમાર તરીકે જાણીતા મનોજકુમારને અપાયો હતો. 2014માં શશિ કપૂર, 2013માં ગુલઝાર, 2012માં પ્રાણને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળી ચૂક્યો છે. 1969માં સૌથી પહેલા આ એવોર્ડ દેવિકા રાનીને અપાયો હતો.