23 November, 2020 02:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમિત સાધ (તસવીર સૌજન્ય: અભિનેતાનું ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
‘કાય પો છે’, ‘સુલ્તાન’ અને ‘ગોલ્ડ’ જેવી ફિલ્મોમાં ઉત્તમ અભિનયથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર અભિનેતા અમિત સાઘ (Amit Sadh)એ તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અભિનેતાએ કહ્યું કે, તેને ટીનેજમાં ચાર વાર આત્મહત્યા કરવાના પ્રયત્નો કર્યા હતા અને તેના પાછળ કોઈ કારણ નહોતા.
37 વર્ષીય અભિનેતા અમિત સાધે મેન્સ XP મેગેઝિન સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘એક દિવસ અચાનક મને લાગ્યું મેં મારે મારી જવું જોઈએ. 16થી 18 વર્ષની ઉંમર દરમિયાન મેં ચાર વાર આત્મહત્યા કરવાના પ્રયત્નો કર્યા હતા. મારી અંદર સુસાઈડલ વિચારો નહોતા, બસ હું આત્મહત્યા કરવા માગતો હતો. કોઈ પ્લાનિંગ નહોતું, એક દિવસ ઉઠ્યો અને સતત મરી જવાના પ્રયત્નો કરવા લાગ્યો. ભગવાનની કૃપાથી ચોથીવાર પ્રયત્ન કરતી વખતે મને લાગ્યું કે આ રસ્તો નથી, આ અંત નથી. પછી વસ્તુઓ બદલાઈ ગઈ. મારા વિચારો બદલાઈ ગયા. એ પછી મારી અંદર ક્યારેય હાર ના માનવાની ફિલોસોફી આવી ગઈ.’
પોતાની ઝિંદગીના કપરા દિવસો યાદ કરતા અમિત સાધે જણાવ્યું કે, ‘મને યાદ છે કે એક મોટા એક્ટરે મારી એક્સ-ગર્લફ્રેન્ડને કહ્યું હતું કે આ પાગલ છે. તેને સાઈકાટ્રીસ્ટ સાથે લઇને જાઓ. પછી તે એક્ટરને હું બે વર્ષ પછી મળ્યો ત્યારે મેં તેમને કહ્યું, સર, હું પાગલ નથી.’ તેણે મને કહ્યું, ‘સારું છે તું પાગલ નથી.’ મેં જવાબમાં કહ્યું,‘ હા, હું પાગલ નથી. હું એકદમ સ્વસ્થ છું. બની શકે હું વધારે ઈમોશનલ છું કે મારામાં બીજા પ્રોબ્લેમ છે. બની શકે હું એકલો છું કે પછી કોઈ તકલીફમાં છું, પરંતુ હું પાગલ તો નથી જ. મારું મગજ એકદમ પરફેક્ટ છે.’
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિત સાધ છેલ્લી ફિલ્મ ‘શકુંતલા દેવી’ હતી. વિદ્યા બાલન અને સાન્યા મલ્હોત્રા સ્ટારર આ ફિલ્મ આ વર્ષે જુલાઈ મહિનામાં રિલીઝ થઇ હતી. આ ઉપરાંત તે બે વેબ સિરીઝ ‘બ્રીધ: ઇન્ટુ ધ શેડો’ અને ‘અવરોધ: ધ સીઝ વિધીન’માં દેખાયો હતો.