28 May, 2020 01:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અક્ષય કુમાર
કોરોના વાયરસ (COVID-19)ને કારણે અસરગ્રસ્ત થયેલાઓની મદદ કરવા માટે અક્ષય કુમાર ફરી એકવાર આગળ આવ્યો છે. દૈનિક વેતન મેળવતા કામદારો જે અત્યારે લૉકડાઉનને લીધે સંઘર્ષ કરી રહ્યાં છે તેમની મદદ માટે અક્ષય કુમારે હાથ લંબાવ્યો છે. અભિનેતાએ સીને એન્ડ ટીવી આર્ટિસ્ટ અસોસિએશન (CINTAA)ના સભ્યો માટે 45 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે. અક્ષયની સાથે જ પ્રોડયુસર સાજીદ નડિયાદવાલએ પણ CINTAAના સભ્યોની મદદ કરી છે.
સાજીદ નડિયાદવાલા
CINTAAના જોઈન્ટ સેક્રેટરી અમિત બહેલે કહ્યું હતું કે, મુશ્કેલીના સમયમાં મદદ કરવા માટે અમે અક્ષય કુમારનો આભાર માનીએ છીએ. આ પહેલ એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય અને અભિનેતા અયુબ ખાને કરી હતી. સાજીદ નડિયાદવાલા અને અક્ષય કુમાર પાસે મદદ માંગવા અને આ પહેલમાં જોડાવવાનું કહેવા માટે જાવેદ જાફરી ગયો હતો.
અમિત બહેલ
બહેલે જણાવ્યું હતું કે, રોજ મળતા વેતન પર ગુજરાન ચલાવતા 1500 જેટલા કામદારોએ અમારી પાસે મદદ માંગી હતી. જ્યારે અમે અક્ષય પાસે ગયા ત્યારે તેણે કોઈ પણ પ્રકારના વિલંબ વગર અમારી પાસે સભ્યોની યાદી માંગી હતી. ત્યારબાદ અક્ષય કુમાર અને સાજીદ નડિયાદવાલાએ બધા જ સભ્યોના અકાઉન્ટમાં 3,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તેમજ અમને ખાતરી પણ આપી હતી કે ભવિષ્યમાં જ્યારે પણ સભ્યોને મદદની જરૂર પડે ત્યારે તે અમારી પડખે હશે.