06 October, 2020 05:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અજય દેવગન ભાઈ અનિલ દેવગન સાથે (તસવીર સૌજન્ય: ટ્વીટર)
બૉલીવુડ અભિનેતા અજય દેવગન (Ajay Devgn)ના ભાઈ અનિલ દેવગન (Anil Devgn)નું સોમવારે રાત્રે નિધન થતા અભિનેતાનો પરિવાર ખુબ દુ:ખી છે. ભાઈના મૃત્યુના સમાચાર અજય દેવગને ટ્વીટ કરીને આપ્યા છે. અભિનેતાએ મંગળવારે બપોરે ટ્વીટ કર્યું હતું. મીડિયા અહેવાલો પ્રમાણે, અનિલ દેવગન 51 વર્ષના હતા.
ભાઈના નિધનના સમાચાર આપતા અજય દેવગને ટ્વીટ કર્યું હતું કે, 'ગત રાત્રે મેં મારા ભાઈ અનિલ દેવગણને ખોઈ દીધો. તેના અકાળે થયેલા નિધનથી અમારા પરિવારને ઘણો આઘાત લાગ્યો છે. અજય દેવગણ ફિલ્મ્સ અને મને તેની ઘણી યાદ આવશે. તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો. મહામારીને કારણે અમે પર્સનલ પ્રેયર મીટનું આયોજન નહીં કરીએ.'
અનિલ દેવગણે તેની કારકિર્દી દરમિયાન મોટાભાગે અજય દેવગણ સાથે કામ કર્યું છે. તેમણે 1996માં આવેલી ફિલ્મ 'જીત' સિવાય અજય દેવગણની ફિલ્મ 'જાન', 'ઇતિહાસ', 'પ્યાર તો હોના હી થા' અને 'હિંદુસ્તાન કી કસમ'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. અનિલે 2000માં ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ 'રાજુ ચાચા' બનાવી હતી. ત્યારબાદ વર્ષ 2005માં 'બ્લેકમેલ' અને 2008માં 'હાલ-એ-દિલ' બનાવી. તેમાં 'બ્લેકમેલ'માં પણ અજય દેવગણ લીડ રોલમાં હતો. અજય દેવગણની એક અન્ય ફિલ્મ 'સન ઓફ સરદાર'માં તે ક્રિએટિવ ડિરેક્ટર હતા.