સૈયારાની સફળતા પછી અહાન પાંડેએ કરાવી હતી ભારે પીડાદાયક સર્જરી

06 March, 2026 11:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં અહાને એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે એક અકસ્માતના કારણે તે એટલો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો કે સ્થિતિ સર્જરી સુધી પહોંચી ગઈ હતી

અહાન પાંડે

‘સૈયારા’ની જબરદસ્ત સફળતા પછીનો થોડો સમય અહાન પાંડે માટે મુશ્કેલ રહ્યો હતો. હાલમાં અહાને એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે એક અકસ્માતના કારણે તે એટલો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો કે સ્થિતિ સર્જરી સુધી પહોંચી ગઈ હતી. આ સમયે તે હલનચલન પણ કરી શકતો નહોતો અને વજન ઉઠાવવાની પણ મંજૂરી નહોતી. આખરે ‘સૈયારા’ પછી અહાને સર્જરી કરાવી હતી અને એના પછી તે ઘણા મહિનાઓ સુધી પ્લાસ્ટરમાં રહ્યો હતો. હવે અહાન ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની આગામી ઍક્શન ફિલ્મ માટે જબરદસ્ત ટ્રાન્સફૉર્મેશનમાં વ્યસ્ત છે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં અહાને જણાવ્યું હતું કે ‘કેટલાંક વર્ષો પહેલાં અકસ્માતને કારણે મારો ખભો થોડો ખસી ગયો હતો. આ કારણોસર હું ઍક્શન સીન માટે જરૂરી ટ્રેઇનિંગ યોગ્ય રીતે કરી શકતો નહોતો. સાથે-સાથે ફિટનેસ જાળવવામાં પણ મને મુશ્કેલી પડી રહી હતી. ‘સૈયારા’ની રિલીઝ બાદ આનો ઉકેલ લાવવા મેં સર્જરી કરાવી હતી, જે સૌથી પીડાદાયક સર્જરીમાંની એક ગણાય છે. એની રિકવરીનો સમય પણ લાંબો હોય છે. ડૉક્ટરોએ મને ચેતવણી આપી હતી કે સર્જરી બાદ આગામી ફિલ્મ માટે બૉડી બનાવવાનું લગભગ અશક્ય બની જશે. જોકે મેં પ્રયાસ ચાલુ રાખ્યા અને મને એનું સારું પરિણામ પણ મળ્યું.’

ahaan panday entertainment news bollywood bollywood news