28 July, 2020 02:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અદનાન સામી
બૉલીવુડના પાર્શ્વગાયક અદનાન સામી (Adnan Sami)એ તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. દિગ્દર્શક શેખર કપૂર (Shekhar Kapur)એ એક ટ્વીટમાં ઉલ્લેખ કર્યો હતો કે, બૉલીવુડમાં વાતચીતના બદલમાં એવૉર્ડ મળે છે. આ ટ્વીટના રિપ્લાયમાં અદનાન સામીએ કહ્યું હતું કે, એક વખત ફ્રી પર્ફોમન્સના બદલામાં તેને એવોર્ડ આપવાની વાત થઈ હતી. જોકે તેને તેના આત્મસન્માનને કારણે આવું કરવાની ના પાડી દીધી હતી.
શેખર કપૂરે ટ્વીટમાં લખ્યું હતું કે, 'બૉલીવુડમાં ફિલ્મસના એવૉર્ડ તમારી ક્રિએટિવિટીને ધ્યાનમાં રાખીને આપવામાં આવતા પુરસ્કાર નથી પણ એક ભાવતાલ છે. જો હું તમને એવોર્ડ આપુ તો તમે મારા માટે સ્ટેજ પર્ફોમન્સ આપશો.' શેખર કપૂરે આ વાત સુશાંત સિંહ રાજપૂતની ઘટનાને ધ્યાનમાં રાખીને તેમનાં ટ્વિટર પેજ પર એક આર્ટિકલ સાથે મુકી હતી.
આ ટ્વીટનો રિપ્લાય કરતા અદનાન સામીએ કહ્યું હતું કે, 'સાચી વાત છે. મારે પણ આ પ્રકારના ભાવતાલનો સામનો કરવો જ પડ્યો હતો. જ્યાં તેઓ ઇચ્છતા હતાં કે હું મફતમાં પર્ફોમન્સ કરુ અને તેના બદલામાં એવૉર્ડ લઈ જાવ. જોકે, મે આમ કરવાની ના પાડી દીધી હતી. કારણ કે હું ક્યારેય એવૉર્ડ ખરીદીશ નહીં. મારી ગરીમા અને સ્વાભિમાન જ છે જે હું મારી સાથે કબરમાં લઈ જઈ શકુ છું. બાકી કંઈ જ નહીં.'
નોંધનીય છે કે, શેખર કપૂરે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ને ટાંકીને એક આર્ટિકલ શૅર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂત ફિલ્મોમાં આટલા ઉમદા પર્ફોમન્સ આપતો હોવા છતા તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોઈએ તેવો આવકાર નહોતો મળ્યો. જેનો તેને વસવસો હતો.