16 October, 2020 07:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદિત્ય નારાયણ
સિંગર આદિત્ય નારાયણનું કહેવુ છે કે તેના અકાઉન્ટમાં માત્ર ૧૮,૦૦૦ રૂપિયા બચ્યા છે અને જો લૉકડાઉનની સ્થિતિ હજી થોડા સમય સુધી આવી રહી તો તેણે પોતાની બાઇક વેચવાનો વારો આવશે. આદિત્ય તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગરવાલ સાથે ટૂંક સમયમાં લગ્ન કરવાનો છે. પોતાની આર્થિક સ્થિતિ વિશે આદિત્યએ કહ્યું હતું કે ‘જો સરકાર હજી પણ લૉકડાઉન વધારશે તો લોકો ભૂખ્યા મરવા માંડશે. મારી બધી બચત ખર્ચાઈ ગઈ છે. મેં જે પણ રૂપિયા મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં ઇન્વેસ્ટ કર્યા હતા એ બધા મારે કઢાવવા પડ્યા છે. કોઈએ નહોતું વિચાર્યું કે હું એક વર્ષ સુધી કામ નહીં કરું અને છતાં મસ્ત રહીશ. જો તમે અબજોપતિ હો તો કોઈ વાંધો નથી. મારી પાસે કોઈ ચૉઇસ જ નથી. મારા અકાઉન્ટમાં માત્ર ૧૮,૦૦૦ રૂપિયા જ બચ્યા છે. એથી જો હું ઑક્ટોબરમાં કામ શરૂ નહીં કરું તો મારી પાસે પૈસા જ નહીં બચે. મારે મારી બાઇક વેચવાનો વારો આવશે. આ ખરેખર ખૂબ કપરું છે. છેવટે તમારે કોઈ સખત નિર્ણય લેવો પડે છે. એવામાં જો તમે કોઈ પગલું ભરી બેસો તો કેટલાક લોકો કહેશે કે તેનો આ ફેંસલો ખોટો હતો.’