19 June, 2025 09:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર સિંહ
‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ની બ્લૉકબસ્ટર સફળતા બાદ ડિરેક્ટર આદિત્ય ધર પહેલી વાર રણવીર સિંહ સાથે ‘ધુરંધર’માં કામ કરી રહ્યા છે. આ ફિલ્મ એક જાસૂસી-થ્રિલર છે જે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના કાર્યકાળ દરમ્યાન બનેલી વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, સંજય દત્ત, અર્જુન રામપાલ અને આર. માધવન જેવા સ્ટાર્સ મહત્ત્વની ભૂમિકામાં છે, જે એક શાનદાર કાસ્ટિંગ ગણાવાય છે. ફિલ્મનું શૂટિંગ પુરજોશમાં ચાલી રહ્યું છે અને રિપોર્ટ પ્રમાણે રણવીર સિંહના જન્મદિવસે એટલે કે ૨૦૨૫ની ૬ જુલાઈએ ફિલ્મનું પ્રથમ ટીઝર રિલીઝ થવાની શક્યતા છે.
આ ફિલ્મનું પોણા ભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને નિર્માતાઓ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં શૂટિંગ પૂરું કરવાનું લક્ષ્ય રાખે છે. રિલીઝની તારીખ શૂટિંગ પૂરું થયા બાદ જાહેર થશે, પરંતુ હાલમાં તો જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૬ની વિન્ડોમાં આ ફિલ્મને રિલીઝ કરવાનું આયોજન છે.