04 May, 2021 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આદિત્ય ચોપડા (ફાઇલ ફોટો)
આદિત્ય ચોપડા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દરેક ડેઇલી વર્કરને વેક્સીન મળે તે માટે આગળ આવ્યો છે. યશરાજ ફિલ્મ્સે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે કે તેની કંપનીને 60 હજાર કોવિડ-19 વેક્સીનની ખરીદી અને તેના સંબંધિત દરેક ખર્ચ ઉઠાવવા માટે પરવાનગી આપે.
યશરાજ ફિલ્મ્સે ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને ઇમ્પ્લોઇઝ (FWICE)ને પત્ર લખ્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે, "ફિલ્મ ઉદ્યોગ અભૂતપૂર્વ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, વહેલી તકે ફરીથી શરૂ કરવાની તાતી જરૂરિયાત છે જેથી હજારો વર્કર્સને ફરી આજીવિકા મેળવવા અને તેમના પરિવારનું રક્ષણ કરી શકે. યશ ચોપડા ફાઉન્ડેશન દ્વારા યશ રાજ ફિલ્મ્સ આ બાબતે મદદ કરવા માગે છે.. અમે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને વિનંતી મોકલી છે કે વહેલી તકે મુંબઇમાં ફિલ્મ ઉદ્યોગ ફેડરેશનના સભ્યો એવા 30 હજાર રજિસ્ટર્ડ કામદારો માટે અમને COVID-19 રસી ફાળવવા અને ખરીદવાની મંજૂરી આપો."
પત્રમાં આગળ ઉમેર્યું કે, "યશ ચોપડા ફાઉન્ડેશન, ડેઇલી વર્કર્સને વેક્સીન આપવાની સાથે જોડાયેલા અન્ય ખર્ચ પણ ઉઠાવશે. જાગરૂકતા વધારવા, કામદારોના વાહનવ્યવહાર અને ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ માટે જરૂરી તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જોગવાઇ કરશે. અમે આશા રાખીએ છીએ કે અમારી આ વિનંતી સ્વીકારવામાં આવી છે. જેથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડેઇલી વર્કર્સ સ્વસ્થ રહે અને વહેલી તકે તેઓ કામ પર પાછા આવી શકે."