25 October, 2020 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાધિકા આપ્ટે
બૉલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે (Radhika Apte) ઈન્ડસ્ટ્રીમાં સૌથી બોલ્ડ છે અને સામાજીક ભૂલો સામે તે લડતી રહે છે. લસ્ટ સ્ટોરીઝની અભિનેત્રી તાજેતરમાં વિક્રાંત મેસી (Vikrant Massey)ના ચેટ શોમાં તેના લગ્ન વિશે વાતચીત કરી હતી. જેમાં તેણે ખુલાસો કર્યો હતો કે, માત્ર વિઝા મેળવવા માટે જ લગ્ન કર્યા હતા અને મજબુરી હતી.
રાધિકા આપ્ટેએ 2012માં બ્રિટિશ મ્યુઝિશિયન બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કર્યાં હતા અને હાલ તે લંડનમાં તેની સાથે રહે છે. વિક્રાંત મેસી સાથેના ચેટમાં શોમાં જ્યારે રાધિકાને પૂછવામાં આવ્યું કે તેણે લગ્ન ક્યારે કર્યાં? તો તેણે જવાબ આપ્યો, 'જ્યારે મને સમજાયું કે જો તમે મેરિડ છો તો તમને વિઝા સરળતાથી મળી રહે છે. મને લાગે છે આ પ્રકારની બાઉન્ડરી હોવી ન જોઈએ. હું લગ્નમાં નથી માનતી. મેં લગ્ન કર્યાં, કારણકે વિઝાનો પ્રોબ્લેમ હતો અને અમે (રાધિકા અને બેનેડિક્ટ) સાથે રહેવા ઇચ્છતા હતા. મને લાગે છે આ યોગ્ય નથી.'
અભિનેત્રીએ આખું લૉકડાઉન પતિ બેનેડિક્ટ સાથે લંડનમાં પસાર કર્યું છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે તેના રૂટિન વિશે જણાવ્યું હતું કે,રૂટિન હોવું સામાન્ય વાત છે પણ આ સમયમાં મેં સારું ભોજન કર્યું, કસરત કરી, લખવા અને જોવાની ટ્રાય કરી અને કઈ જ ન કર્યું.
કોરોના વિશે રાધિકા આપ્ટેએ કહ્યું હતું કે, ' કોરોનાની વેક્સીન આવ્યા બાદ સ્થિતિ સામાન્ય થઇ જશે. મને આ ન્યૂ નોર્મલ ટર્મ નથી ગમતી. આ ત્યાં સુધીની વાત છે જ્યાં સુધી આપણને આ બીમારી સામે લડવા માટે રસી નથી મળી જતી. ભરોસો છે કે બધું પાછું નોર્મલ થઇ જશે. એકવાર જ્યારે બધું નોર્મલ થઇ જશે ત્યારે આપણે આ વિશે બધું ભૂલી જઈશું.'
તમને જણાવી દઈએ કે, રાધિકા છેલ્લે નેટફ્લિક્સ પરની ફિલ્મ 'રાત અકેલી હૈ'માં દેખાઈ હતી. જુલાઈમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી પણ હતો.