30 July, 2026 05:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુદેશ બેરી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી
ટીવી અને ફિલ્મ જગતના જાણીતા અભિનેતા સુદેશ બેરીએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. તેમણે વડા પ્રધાનને ભગવાન વિષ્ણુના અવતાર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે જો તક મળે તો તેઓ વડા પ્રધાનના પગ ધોઈ તે પાણી પીવાનું પસંદ કરશે. તેમણે CJP પર પણ નિશાન સાધતા કહ્યું હતું કે પક્ષ દેશને આગળ વધારવાને બદલે પાછળ ખેંચી રહ્યો છે.
સુદેશ બેરીએ ટિપ્પણી કરી હતી કે તેમને પક્ષનું નામ પણ બરાબર ખબર નથી. તેમણે કહ્યું, "મને ખબર નથી - એજીપી, સીજેપી... હું આ લોકોને ઓળખતો પણ નથી. હું ફક્ત એટલું જ જાણું છું કે તેઓ દેશને પાછળ ખેંચી રહ્યા છે." તેમણે ઉમેર્યું હતું કે, "આ નકામા લોકો છે. તેમની પાસે દેશ માટે કોઈ ક્રિએટિવ કામ નથી. જો તેઓ ખરેખર સમાજની સેવા કરવા માગતા હોય, તો તેમણે બાળકો માટે બગીચા, વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમ બનાવવા જોઈએ અને લોકો માટે તબીબી સારવારની સુવિધા આપવી જોઈએ. જંતર મંતર પર બેસીને વિરોધ કરવાથી કંઈ પ્રાપ્ત થશે નહીં." પાર્ટીના નામ પર ટિપ્પણી કરતાં તેમણે કહ્યું, "તેઓએ કોઈ વિચિત્ર પ્રાણીના નામ પરથી પાર્ટી બનાવી. તેઓ `હાયના પાર્ટી` કેમ નથી બનાવતા?"
ઇન્ટરવ્યુ દરમિયાન, સુદેશ બેરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું, "બિચારા નરેન્દ્ર મોદીએ શું ખોટું કર્યું છે? તેમને ચા વેચવા દો. તેઓ આખી દુનિયામાં ચા વેચીને આવ્યા છે." દરમિયાન, ઇન્ટરવ્યુ લેનારે અભિનેતાને યાદ અપાવ્યું કે તેમણે અગાઉ તેમની માતાના પગ ધોયા હતા અને પાણી પીધું હતું. આનો જવાબ આપતા, સુદેશ બેરીએ કહ્યું, "હવે હું મોદીજીના પગ ધોવા માગુ છું અને તે પાણી પીવા માગુ છું - જો તમે તેમની સાથે મુલાકાત ગોઠવી શકો. હું તેમને મળ્યો નથી, કે હું તેમને વ્યક્તિગત રીતે ઓળખતો નથી. જેમ આપણે ભગવાનને જોયા વિના પૂજા કરીએ છીએ, તેમ હું મોદીજીને પણ એટલો જ આદર આપું છું. તેમાં કંઈ ખોટું નથી. શું? પક્ષોની બહાર, રાજકારણની બહાર, ફક્ત એક માણસ તરીકે જો હું તે કરું છું, તો હું તે કરું છું ." `રામ રાજ્ય આવી ગયું છે` સુદેશ બેરીએ એવો પણ દાવો કર્યો હતો કે દેશમાં "રામ રાજ્ય આવી ગયું છે". જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે કેવી રીતે થયું, ત્યારે તેમણે કહ્યું, "રામ રાજ્ય આવી ગયું છે. જે હું જોઈ શકું છું, તે તમે જોઈ શકતા નથી. તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી; તે અનુભવવા જેવી વાત છે." આ મુલાકાતમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત, તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તે બધા દેશ માટે કામ કરી રહ્યા છે અને કારણ વગર તેમની વિરુદ્ધ બોલવું યોગ્ય નથી.