‘KGF : ચૅપ્ટર 2’ની ટીમની માફી માગી આમિરે

25 November, 2021 03:45 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

‘લાલ સિંહ ચઢ્ઢા’ની ટક્કર તેમની સાથે થઈ રહી હોવાથી તેણે મેકર્સ અને યશને ફોન કર્યો હતો

આમિર ખાન

આમિર ખાને ‘KGF: ચૅપ્ટર 2’ની ટીમ પાસે માફી માગી છે. આમિર અને કરીના કપૂર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ આવતા વર્ષે ૧૪ એપ્રિલે રિલીઝ થવાની છે. જોકે એ જ દિવસે ‘KGF: ચૅપ્ટર 2’ પણ રિલીઝ થવાની છે. એથી બૉક્સ-ઑફિસ પર આ બન્ને ફિલ્મો વચ્ચે ક્લૅશ થવાનો છે. ‘KGF: ચૅપ્ટર 2’માં યશ, સંજય દત્ત, રવીના ટંડન અને પ્રકાશ રાજ લીડ રોલમાં જોવા મળશે. ‘લાલ સિંહ ચઢ્ઢા’ને અગાઉ ફેબ્રુઆરીમાં રિલીઝ કરવાની યોજના હતી. જોકે બાદમાં એને બૈસાખીમાં ૧૪ એપ્રિલે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ વિશે આમિર ખાને કહ્યું હતું કે ‘હું કદી પણ તારીખ વિશે ફેંસલો નથી લેતો. એ તો પ્રોડ્યુસર નક્કી કરે છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’માં હું સિખનું પાત્ર ભજવી રહ્યો છું, એથી અમે બૈસાખીમાં ૧૪ એપ્રિલે રિલીઝ કરવાનું નક્કી કર્યું હતું. મને અને મારી ટીમને આ તારીખ યોગ્ય લાગી હતી. આ નવી તારીખ જાહેર કરતાં પહેલાં મેં ‘KGF: ચૅપ્ટર 2’ના પ્રોડ્યુસર વિજય કિરગંડુર, લીડ ઍક્ટર યશ અને ડિરેક્ટર પ્રશાંત નીલની માફી માગી હતી. મેં તેમને સમજાવ્યા કે ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝ માટે ૧૪ એપ્રિલ શા માટે યોગ્ય છે. તેઓ મારી વાત સમજ્યા અને કહ્યું કે તમે એની સાથે આગળ વધી શકો છો. યશ સાથે મારી લાંબી વાતચીત ચાલી હતી અને KGFની ટીમનું વર્તન મને સ્પર્શી ગયું હતું. હું ‘KGF: ચૅપ્ટર 2’ને પ્રમોટ કરવાનો છું અને મેકર્સને પણ આ વાતની માહિતી આપી છે. હું ‘KGF’ ફ્રૅન્ચાઇઝીનો ફૅન છું. સાથે જ ૧૪ એપ્રિલે હું થિયેટરમાં ‘KGF: ચૅપ્ટર 2’ જોવાનો છું.’

aamir khan bollywood news