ફૌજીના ડિરેક્ટર કર્નલ રાજ કપૂરનું અવસાન થતાં શ્રદ્ધાંજલિ આપી શાહરૂખે

13 April, 2019 09:36 AM IST  | 

ફૌજીના ડિરેક્ટર કર્નલ રાજ કપૂરનું અવસાન થતાં શ્રદ્ધાંજલિ આપી શાહરૂખે

કર્નલ રાજ કપૂર અને રાજકપૂર

ટીવી-સિરિયલ ‘ફૌજી’ના ડિરેક્ટર કર્નલ રાજ કપૂરનું નિધન થતાં શાહરુખ ખાને તેમને શ્રદ્ધા સુમન અર્પિત કર્યાં હતાં. શાહરુખે બૉલીવુડમાં આવતાં પહેલાં ૧૯૮૮માં આ ટીવી-સિરિયલથી શરૂઆત કરી હતી. વધતી ઉંમરને કારણે થતી માંદગીને કારણે કર્નલ રાજ કપૂરનું અવસાન બુધવારે ન્યુ દિલ્હીમાં થયું હતું. તેમના નિધન પર શોક વ્યક્ત કરતાં તેમની સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને શાહરુખે ટ્વીટ કર્યું હતું કે ‘તેઓ મને ખૂબ પ્રેમ કરતા હતા. મને પ્રોત્સાહન આપતા હતા. આજે મને સેટ પર જે પ્રકારે વહાલ મળે છે એના માટે તેમનું ખાસ યોગદાન રહ્યું છે. તેમણે મને ‘ફૌજી’ બનાવ્યો. સર, તમે હંમેશાં યાદ આવશો. તમારા આત્માને શાંતિ મળે એ જ પ્રાર્થના છે.’

શાહરુખના ટ્વીટ પર ફિલ્મમેકર શેખર કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘મને એ દિવસ હજી પણ યાદ છે જ્યારે ‘ફૌજી’ દરમ્યાન કર્નલ તને મારા ઘરે લઈને આવ્યા હતા. મને કહ્યું હતું કે જુઓ આ યુવાનને. તેઓ ખરા હતા. તેઓ ખૂબ જ દયાળુ હતા.’

આ પણ વાંચો : સંગીતના જાદુગર જિગર સરૈયાની આવી છે પર્સનલ લાઈફ, જુઓ ફોટોઝ

શેખર કપૂરના આ ટ્વીટ પર શાહરુખે પણ ટ્વીટ કર્યું હતું કે ‘અને સાથે જ તેઓ ખૂબ જ મોજીલા પણ હતા. તમે જ્યારે સ્ટ્રેસમાં હો તો તેઓ તમને હસાવવાની કળા પણ ધરાવતા હતા અને તમારી તકલીફોને પણ ખૂબ જ સહજતાથી તેઓ દૂર કરતા હતા. તેઓ એવા લોકોમાંથી હતા જે તમારો સાથ કદી ન છોડે, કારણ કે તેઓ ખુશમિજાજી હતા.’

Shah Rukh Khan bollywood news