30 April, 2019 04:23 PM IST |
ઋષિ કપૂર
બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર કેન્સર ફ્રી થઇ ગયા છે, આ વિશેની માહિતી ફિલ્મ નિર્દેશક રાહુલ રવૈલે ફેસબુક પર પોસ્ટ કરીને આપી હતી. જો કે અત્યાર સુધી ઋષિ કપૂર કે નીતૂ કપૂર તરફથી આ બાબતે કોઇપણ નિવેદન આવ્યું નથી કે એવી કોઇ સૂચના પણ આપવામાં આવી નથી.
રાહુલ રવૈલે ફેસબુક પર ઋષિ કપૂર સાથે ફોટો પોસ્ટ કર્યું છે જેની સાથે લખ્યું છે, "ઋષિ કપૂર (ચિંટૂ) હવે કેન્સર ફ્રી છે." આ પોસ્ટ પર એક્ટરના ચાહકોએ શુભેચ્છાના સંદેશાઓ પોસ્ટ કર્યા અને પ્રાર્થના કરી ઋષિ કપૂર સ્વસ્થ રહે.
બીમારીનો નહોતો થયો ખુલાસો
ઋષિ કપૂર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં સારવાર માટે ગયા હતા. તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ બાબતની માહિતી આપી હતી કે તે ટ્રીટમેન્ટ માટે અમેરિકા જઇ રહ્યા છે, પણ તેમને શું બીમારી છે તે વિશે તેમણે કોઇ જ ચોખવટ કરી નહોતી. એટલે સુધી કે તેમના પરિવારના સભ્યો પણ આ બાબતે મૌન જ રહ્યા.
આ પણ વાંચો : ઉરી પછી હવે આ જાબાઝના પાત્રમાં જોવા મળશે વિકી કૌશલ
નીતૂની પોસ્ટથી થઇ શંકા
નવા વર્ષના અવસરે નીતૂ કપૂરની એક પોસ્ટથી આ ચર્ચા શરૂ થઇ ગઇ હતી કે ઋષિ કપૂરને કેન્સર થયો છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, "હું પ્રાર્થના કરું છું કે કેન્સર માત્ર એક રાશિ બની રહે." જો કે ત્યાર પછી કપૂર ફેમિલીએ કોઇપણ વાત પર ખુલાસો કર્યો નહોતો કે ઋષિ કપૂર ન્યૂ યોર્કમાં કેન્સરની સારવાર લઇ રહ્યા છે કે નહીં?
જો કે રાહુલ રવૈલની ફેસબુક પોસ્ટ પરથી સ્થિતિ ઘણી સાફ થઇ ગઇ છે. એવામાં હવે માત્ર કપૂર પરિવારના નિવેદનની રાહ જોવાઇ રહી છે.