03 January, 2020 05:52 PM IST | Mumbai Desk
લોકસભાના ઇલેક્શનના કૅમ્પેન સમયે જ ઇરોઝનાઉ પર રિલીઝ થયેલી વેબ-સિરીઝ ‘મોદી : જર્ની ઑફ અ કૉમનમૅન’ની એક વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છતાં એની સેકન્ડ સીઝનને રિલીઝ કરવામાં નથી આવી, જેની પાછળનું કારણ એ છે કે ઇરોઝ પ્રોપર સમયની રાહ જોઈ રહ્યું છે. ઇરોઝની ઇચ્છા છે કે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાભરના મીડિયાની હેડલાઇનમાં હોય એવા સમયે આ વેબ-સિરીઝ રિલીઝ કરવી.
ગયા ડિસેમ્બરમાં રિલીઝ થયેલી વેબ-સિરીઝની ફર્સ્ટ સીઝનમાં નરેન્દ્ર મોદીનું બાળપણ અને તેમની યુવાવસ્થા દર્શાવવામાં આવી હતી, જેને નબળો રિસ્પૉન્સ મળ્યો હતો પણ બીજી સીઝન ઘટનાઓની દૃષ્ટિથી પ્રવર્તમાન રાજકારણને સાંકળવાનું કામ કરે છે. કેવા સંજોગોમાં નરેન્દ્ર મોદી ઍક્ટિવ રાજકારણમાં આવ્યા અને મુખ્ય પ્રધાનપદ પર તેમણે કેવું કામ કર્યું એ આ સેકન્ડ સીઝનમાં દર્શાવવામાં આવ્યું છે. આ જ બીજી સીઝનમાં ગોધરા ટ્રેનકાંડ અને ગુજરાતનાં ૨૦૦૧ ના વર્ષનાં રમખાણ પણ દર્શાવવામાં આવ્યાં છે.