18 July, 2019 05:11 PM IST | મુંબઈ
અંધેરી વેસ્ટના ઓશીવારામાં ગ્રીન પાર્ક નજીક આવેલી શાંતિવન બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સાત માળની શાંતિવન સોસાયટીમાં ચોથા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે એક સ્થાનિક વ્યક્તિએ બીએમસીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ યુનિટને ફોન કરીને આગ લાગવાની માહિતી આપી હતી. જેમાં આ ઘર બોલીવુડના એક્ટર અને કમેડિયન કપિલ શર્માનું હોવાની માહિતી પણ આપી હતી.
ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યા અડધા કલાકમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આગ આ ફ્લેટના રસોડામાં લાગી હતી. જો કે ફાયરબ્રિગેડે આગ વધુ ફેલાય તે પહેલા જ બુઝાવી દીધી હતી. આગ લાગ્યાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડે 2 ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટનાસ્થળે મોકલી હતી. જે બાદ તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.
નામ ન આપવાની શરતે ફાયર બ્રિગેડના એક સિનિયર અધિકારીનું કહેવું છે કે,'આગ લાગી ત્યારે ઘર ખાલી હતું અને આ ઘર કપિલ શર્માનું હોવાનું લોકો કહે છે.'
આ પણ વાંચોઃ Priyanka Chopra:બાળપણમાં આટલી ક્યૂટ હતી આ એક્ટ્રેસ
તો સ્થાનિકોના કહેવા પ્રમાણે કપિલ છેલ્લા કેટલાક સમયથી બીજે શિફ્ટ થયો છે. અને હમણાં તે અહીં નથી રહેતો.