અક્ષયકુમાર અને માનુષીની પૃથ્વીરાજ માટે ૩૫ ભવ્ય સેટ ઊભા કરવામાં આવશે

03 December, 2019 10:59 AM IST  |  Mumbai | Harsh Desai

અક્ષયકુમાર અને માનુષીની પૃથ્વીરાજ માટે ૩૫ ભવ્ય સેટ ઊભા કરવામાં આવશે

અક્ષય કુમાર

માનુષી છિલ્લર અને અક્ષયકુમારની ‘પૃથ્વીરાજ’ માટે ભવ્ય સેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મમાં અક્ષયકુમાર પૃથ્વીરાજ અને માનુષી રાજકુમારી સંયોગિતાની ભૂમિકામાં જોવા મળશે. યશરાજ ફિલ્મ્સની આ પહેલી હિસ્ટોરિકલ ફિલ્મ છે. આથી તેઓ આ ફિલ્મને બૉલીવુડની અત્યાર સુધીની સૌથી ગ્રૅન્ડ ફિલ્મ બનાવવી રહ્યાં છે. અત્યાર સુધી સંજય લીલા ભણસાલીની ફિલ્મોના સેટને ભવ્ય બનાવવામાં આવ્યાં છે. કરણ જોહર પણ તેની ‘તખ્ત’ માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. જોકે એવું જાણવા મળ્યું છે કે યશરાજ આ ફિલ્મને ૩૫ ભવ્ય સેટ પર શૂટ કરશે. બૉલીવુડમાં ૩૫ ભવ્ય સેટ ઊભા કરવા એ એક રેકૉર્ડ છે. આ ફિલ્મની જાહેરાત થતાની સાથે જ તે એકદમ ભવ્ય બની ગઈ હતી કારણ કે પૃથ્વીરાજ ચૌહાણ પર ફિલ્મ બની રહી હોવાની સાથે અક્ષય અને યશરાજ પહેલી વાર સાથે કામ કરી રહ્યાં છે. આ સાથે જ ૨૦૧૭ની મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પણ બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મ માટે મોટાભાગના સેટ મહારાષ્ટ્રના જુદા-જુદા સ્થળે બનાવવામાં આવશે. તેમ જ કેટલાક સેટ રાજસ્થાનમાં પણ ઊભા કરવામાં આવશે. આ ફિલ્મને સ્ક્રીન પર દર્શકો માટે એકદમ ભવ્ય બનાવવા માટે મેકર્સ કોઈ પણ કચાશ છોડવા નથી માગતા. ફિલ્મમાં ઘણાં ફાઇટનાં દૃશ્યો પણ છે અને એ સમયના રાજા અને તેમના રાજ્યને પણ બખૂબી દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ માટે હજારો કારીગરો દિવસ-રાત સેટ બનાવવા માટે મહેનત કરી રહ્યાં છે.

આ પણ જુઓઃ Devoleena Bhattacharjee: 'ગોપી વહુ'નો આ અવતાર ઉડાવી દેશે તમારા હોશ

પૃથ્વીરાજ ચૌહાણની લાઇફ અને બહાદુરી પરથી આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે જેમને છેલ્લા હિન્દુ સમ્રાટ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ મોહમ્મદ ઘોરી સામે ખૂબ જ બહાદુરીપૂર્વક લડ્યા હતા. ટેલિવિઝન શો ‘ચાણક્ય’ને ડિરેક્ટ કરનાર ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યાં છે. આ ફિલ્મને ૨૦૨૦ની દિવાળી પર રિલીઝ કરવામાં આવશે.

akshay kumar yash raj films