03 December, 2019 10:59 AM IST | Mumbai | Harsh Desai
અક્ષય કુમાર
માનુષી છિલ્લર અને અક્ષયકુમારની ‘પૃથ્વીરાજ’ માટે ભવ્ય સેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મમાં અક્ષયકુમાર પૃથ્વીરાજ અને માનુષી રાજકુમારી સંયોગિતાની ભૂમિકામાં જોવા મળશે. યશરાજ ફિલ્મ્સની આ પહેલી હિસ્ટોરિકલ ફિલ્મ છે. આથી તેઓ આ ફિલ્મને બૉલીવુડની અત્યાર સુધીની સૌથી ગ્રૅન્ડ ફિલ્મ બનાવવી રહ્યાં છે. અત્યાર સુધી સંજય લીલા ભણસાલીની ફિલ્મોના સેટને ભવ્ય બનાવવામાં આવ્યાં છે. કરણ જોહર પણ તેની ‘તખ્ત’ માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. જોકે એવું જાણવા મળ્યું છે કે યશરાજ આ ફિલ્મને ૩૫ ભવ્ય સેટ પર શૂટ કરશે. બૉલીવુડમાં ૩૫ ભવ્ય સેટ ઊભા કરવા એ એક રેકૉર્ડ છે. આ ફિલ્મની જાહેરાત થતાની સાથે જ તે એકદમ ભવ્ય બની ગઈ હતી કારણ કે પૃથ્વીરાજ ચૌહાણ પર ફિલ્મ બની રહી હોવાની સાથે અક્ષય અને યશરાજ પહેલી વાર સાથે કામ કરી રહ્યાં છે. આ સાથે જ ૨૦૧૭ની મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પણ બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મ માટે મોટાભાગના સેટ મહારાષ્ટ્રના જુદા-જુદા સ્થળે બનાવવામાં આવશે. તેમ જ કેટલાક સેટ રાજસ્થાનમાં પણ ઊભા કરવામાં આવશે. આ ફિલ્મને સ્ક્રીન પર દર્શકો માટે એકદમ ભવ્ય બનાવવા માટે મેકર્સ કોઈ પણ કચાશ છોડવા નથી માગતા. ફિલ્મમાં ઘણાં ફાઇટનાં દૃશ્યો પણ છે અને એ સમયના રાજા અને તેમના રાજ્યને પણ બખૂબી દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ માટે હજારો કારીગરો દિવસ-રાત સેટ બનાવવા માટે મહેનત કરી રહ્યાં છે.
આ પણ જુઓઃ Devoleena Bhattacharjee: 'ગોપી વહુ'નો આ અવતાર ઉડાવી દેશે તમારા હોશ
પૃથ્વીરાજ ચૌહાણની લાઇફ અને બહાદુરી પરથી આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે જેમને છેલ્લા હિન્દુ સમ્રાટ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ મોહમ્મદ ઘોરી સામે ખૂબ જ બહાદુરીપૂર્વક લડ્યા હતા. ટેલિવિઝન શો ‘ચાણક્ય’ને ડિરેક્ટ કરનાર ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યાં છે. આ ફિલ્મને ૨૦૨૦ની દિવાળી પર રિલીઝ કરવામાં આવશે.