આરક્ષણ : સત્તાની સીડી કે મતોનું રાજકારણ?

13 November, 2022 12:52 PM IST  |  Mumbai | Raj Goswami

પાટીદારોના આંદોલનના મૂળમાં ૧૯૮૫નું એક બીજું આરક્ષણ આંદોલન છે, જેને આપણે અનામત વિરોધી આંદોલન તરીકે ઓળખીએ છીએ. જોઈએ તો આરક્ષણને લઈને ગુજરાતે બે મોટાં અને હિંસક આંદોલન જોયાં છે; એક એની વિરુદ્ધમાં અને એક એની તરફેણમાં. એના મૂળમાં ગુજરાતનું જાતિગત રાજકારણ

પ્રતીકાત્મક તસવીર

૨૦૧૯માં જ્યારે મોદી સરકારે સંસદમાં એ જોગવાઈને બંધારણીય સ્વરૂપ આપ્યું ત્યારે એને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. સોમવારે પાંચ જજોની બંધારણીય બેન્ચે ત્રણ વિરુદ્ધ બે મતથી આર્થિક રીતે પછાત વર્ગ માટે ૧૦ ટકા આરક્ષણને બહાલી આપી છે.

પાટીદારો રાજકીય રીતે પ્રભાવશાળી વર્ગમાંથી હાંસિયામાં ધકેલાઈ ગયા હતા, ૧૯૮૧ની આરક્ષણ નીતિને કારણે એ નારાજગી હિંસક રીતે ૨૦૧૫માં બહાર આવી હતી. પાટીદારોનું આરક્ષણ ‘પાટીદાર આઇડેન્ટિટી’ને આગળ કરવા હતું.  આનંદીબહેનની સરકારે એ આંદોલનને કચડવાનો પ્રયાસ કર્યો એમાં પાટીદારો બીજેપીથી વિમુખ થઈ ગયા હતા

એ યોગાનુયોગ પણ હોઈ શકે, પરંતુ આર્થિક રીતે પછાત વર્ગ (ઇકૉનૉમિકલી વીકર સેક્શન -ઈડબ્લ્યુસી) માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા આરક્ષણને બહાલી આપવાના સુપ્રીમ કોર્ટના ફેંસલાની સીધી અસર ગુજરાતની ચૂંટણી પર પડશે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના સવાબે દાયકાના એકચક્રી શાસનમાં સૌથી ગંભીર પડકાર ૨૦૧૫માં પાટીદારોના અંદોલનરૂપે આવ્યો હતો, જેમણે હાર્દિક પટેલના નેતૃત્વમાં આર્થિક રીતે પછાત વર્ગના દરજ્જા માટે મોટા પાયે આંદોલન કર્યું હતું. એ આંદોલનમાં જ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલનો ભોગ લેવાયો હતો.

લગભગ ૬ મહિના સુધી ચાલેલા આ હિંસક આંદોલનને ઠંડું પાડવા માટે એપ્રિલ ૨૦૧૫માં ગુજરાત સરકારે આર્થિક રીતે પછાત વર્ગ માટે ૧૦ ટકા આરક્ષણની જાહેરાત કરી હતી. એ રીતે ગુજરાત પહેલું રાજ્ય હતું જેણે જનરલ કૅટેગરીમાં ૧૦ ટકા આરક્ષણ જાહેર કર્યું હતું. ૨૦૧૯માં નરેન્દ્ર મોદીની સરકારે સંસદમાં બંધારણની જોગવાઈમાં ફેરફાર કરીને એ જોગવાઈને મંજૂરી આપી હતી. હવે સુપ્રીમ કોર્ટે એને બહાલી આપી છે. 

અગાઉ આ જોગવાઈને ગુજરાત હાઈ કોર્ટમાં પડકારવામાં આવી હતી. કોર્ટે એવું કહીને સરકારની નીતિને ખારીજ કરી નાખી હતી કે આ પ્રકારના આરક્ષણની જરૂર છે એનો ન તો કોઈ અભ્યાસ છે કે ન તો એનાથી સમાજમાં શું પ્રભાવ પડશે એનું કોઈ વિશ્લેષણ. ટૂંકમાં કહીએ તો, સરકારે આંદોલને ચડેલા પાટીદારોને ખુશ કરવા માટે આ આરક્ષણ જાહેર કર્યું હતું. 

મુખ્ય ન્યાયાધીશ આર. સુભાષ રેડ્ડીની ડિવિઝન બેન્ચે આ જોગવાઈને ગેરબંધારણીય ઠેરવીને કહ્યું હતું કે ‘આર્થિક સ્થિતિ બદલાતી રહે છે એટલે રાજ્ય સરકાર કોઈ વર્ગને આર્થિક રીતે નબળો જાહેર કરીને બિનઆરક્ષિત કૅટેગરીમાં આરક્ષણ જાહેર કરી ન શકે.’

૨૦૧૯માં જ્યારે મોદી સરકારે સંસદમાં એ જોગવાઈને બંધારણીય સ્વરૂપ આપ્યું ત્યારે એને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. સોમવારે પાંચ જજોની બંધારણીય બેન્ચે ત્રણ વિરુદ્ધ બે મતથી આર્થિક રીતે પછાત વર્ગ માટે ૧૦ ટકા આરક્ષણને બહાલી આપી છે.

એમાં ભિન્ન મત આપનાર ચીફ જસ્ટિસ યુ. યુ. લલિતે કહ્યું હતું કે ‘આરક્ષણનો આર્થિક આધાર બંધારણની વિરુદ્ધ છે અને બંધારણમાં એ માટેનો ૧૦૩મો સુધારો ભેદભાવવાળો છે.’ તેમની સાથે સહમત થતાં જસ્ટિસ રવીન્દ્ર ભટ્ટે કહ્યું કે ‘આરક્ષણ એ કોઈ ફ્રી પાસ નથી કે ગમે તેને વહેંચી દેવાય. આર્થિક પછાતપણું દૂર કરવામાં બીજા પણ રસ્તા છે.’ બીજા ત્રણ જજ - જસ્ટિસ બેલા ત્રિવેદી, જસ્ટિસ મહેશ્વરી અને જસ્ટિસ પારડીવાલાએ ચોક્કસ સમયમર્યાદા માટે આર્થિક રીતે પછાત વર્ગ માટે ૧૦ ટકા આરક્ષણને ઉચિત ઠેરવ્યું હતું.

આમ દેશમાં હવે ચાર પ્રકારનું આરક્ષણ અમલમાં આવ્યું છે; ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ)-૨૭ ટકા, એસસી (શેડ્યુલ કાસ્ટ) ૧૫ ટકા, એસટી (શેડ્યુલ ટ્રાઇબ્સ) ૭.૫ ટકા અને હવે ઈડબ્લ્યુએસ ૧૦ ટકા.

સુપ્રીમ કોર્ટ તો ખેર કોઈ પણ જોગવાઈની બંધારણીય યોગ્યતા-અયોગ્યતા પર નિર્ણય કરતી હોય છે, પરંતુ સરકારોના નિર્ણયો પાછળ સામાજિક અને રાજકીય ગણતરીઓ હોય છે. ભારતમાં આરક્ષણનો ઇતિહાસ એટલો જ જૂનો છે જેટલી ગરીબી જૂની છે. આઝાદી પહેલાં વીંધ્ય અને દક્ષિણનાં પ્રેસિડેન્સી ક્ષેત્રો અને રિયાસતોમાં પછાત વર્ગ (બીસી) માટે આરક્ષણ લાગુ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં કોલ્હાપુરના મહારાજા છત્રપતિ સાહૂજી મહારાજે ૧૯૦૨માં પછાત વર્ગમાં ગરીબી દૂર કરવા માટે રાજ્યના પ્રશાસનમાં તેમને માટે આરક્ષણ રાખ્યું હતું. તેમણે બાકાયદા એક વટહુકમ જારી કર્યો હતો. દલિત કલ્યાણ માટે આરક્ષણનો એ પહેલો સરકારી આદેશ હતો. 

સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ફેંસલો ગુજરાત માટે બીજી રીતે પણ મહત્ત્વનો છે. પાટીદારોએ આરક્ષણ માટે અંદોલન કર્યું એના મૂળમાં એક બીજી ભાવના પણ હતી; સામાજિક અને આર્થિક રીતે પછાત જાતિ (સોશ્યલી ઍન્ડ ઇકૉનૉમિકલી બૅકવર્ડ કાસ્ટ - એસઈબીસી)ને જો આરક્ષણ મળતું હોય તો પછી પાટીદારોમાં જે લોકો પછાત છે તેમને કેમ નહીં? 

વાસ્તવમાં પાટીદારોના આંદોલનના મૂળમાં ૧૯૮૫નું એક બીજું આરક્ષણ આંદોલન છે, જેને આપણે અનામત વિરોધી આંદોલન તરીકે ઓળખીએ છીએ. એ રીતે જોઈએ તો આરક્ષણને લઈને ગુજરાતે બે મોટાં અને હિંસક આંદોલન જોયાં છે; એક એની વિરુદ્ધમાં અને એક એની તરફેણમાં. એના મૂળમાં ગુજરાતનું જાતિગત રાજકારણ છે.

પાટીદારો રાજકીય રીતે પ્રભાવશાળી વર્ગમાંથી હાંસિયામાં ધકેલાઈ ગયા હતા, ૧૯૮૧ની આરક્ષણ નીતિને કારણે અને એ નારાજગી હિંસક રીતે ૨૦૧૫માં બહાર આવી હતી. પાટીદારોનું આરક્ષણ ‘પાટીદાર આઇડેન્ટિટી’ને આગળ ધરવા માટેનું માધ્યમ હતું.  આનંદીબહેનની સરકારે એ આંદોલનને કચડવાનો પ્રયાસ કર્યો એમાં પાટીદારો બીજેપીથી વિમુખ થઈ ગયા હતા. 
૨૦૧૫માં યોજાયલી પંચાયતની ચૂંટણીમાં ગ્રામીણ ગુજરાતના પાટીદારોએ મોટા પ્રમાણમાં કૉન્ગ્રેસને મત આપ્યા હતા. પાટીદારોને પાછા બીજેપીમાં લાવવા અને તેમને ખુશ કરવાના પ્રયાસ ત્યારથી ચાલતા હતા. એનો અંત બે રીતે આવ્યો; હાર્દિક પટેલ સહિતના ઘણા પાટીદાર નેતાઓ આજે બીજેપીની છાવણીમાં છે અને હવે તો સુપ્રીમ કોર્ટનો ફેંસલો પણ તેમની તરફેણમાં આવ્યો છે એટલે ૨૦૨૨ની વિધાનસભામાં પાટીદાર મતો બીજેપીમાં અકબંધ રહે એવો ઘાટ ઘડાયો છે.

૧૯૮૧માં માધવસિંહ સોલંકીની કૉન્ગ્રેસ સરકારે બક્ષીપંચની ભલામણના આધારે ગુજરાતના સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ (જેમાં ૮૨ જેટલી જાતિઓ આવે છે) માટે મેડિકલ અને ટેક્નિકલ કૉલેજોમાં અને નોકરીઓમાં આરક્ષણની જોગવાઈ કરી હતી. જેને પગલે ગુજરાતના પટેલ અને અન્ય સવર્ણ વર્ગોએ એનો વિરોધ કર્યો હતો અને એ ૧૯૮૫ સુધીમાં ક્રમશ: કોમી તોફાનોમાં તબદીલ થઈ ગયો હતો. 

માધવસિંહે ૧૯૭૭થી ગુજરાતમાં ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ વર્ગનું રાજકીય ગઠબંધન બનાવ્યું હતું, જેને આપણે ‘ખામ’ તરીકે ઓળખીએ છીએ. એ ગઠબંધનના જોરે સત્તામાં આવ્યા પછી તેમણે ‘પછાત’ના નામે ૨૮ ટકા આરક્ષણ કર્યું હતું. એ આરક્ષણ માટેની લાયકાતમાંથી જાતિ કાઢી નાખવામાં આવી હતી. આનો સૌથી મોટો વિરોધ પટેલો અને અન્ય ઉચ્ચ જ્ઞાતિમાં થયો અને આખું ગુજરાત હિંસામાં ધકેલાઈ ગયું હતું. સવર્ણોએ આ આરક્ષણને ગરીબોના ઉદ્ધાર માટેની યોજના તરીકે નહીં, પણ ઉચ્ચ વર્ગને હાંસિયામાં ધકેલી દેવાના કાવતરા તરીકે જોયું હતું. ગુજરાતમાં પાટીદારો એ સમયથી કૉન્ગ્રેસથી વિમુખ થયા હતા અને બીજેપીએ ધીમે-ધીમે એ જ સવર્ણોને પોતાનો આધાર બનાવીને ગુજરાતમાં સ્થાન મજબૂત કર્યું હતું. એવો પણ આરોપ છે કે ૧૯૮૫ના આરક્ષણ વિરોધી આંદોલનમાં બીજેપીએ પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. ઇતિહાસની વિડંબના કેવી છે કે એ જ બીજેપીએ આરક્ષણની માગણી સાથે પાટીદારોના ગુસ્સાનો શિકાર થવું પડ્યું હતું. ૩૫ વર્ષ પછી નરેન્દ્ર મોદીએ પણ જાતિની બહાર જઈને પાટીદારો માટે આરક્ષણ જાહેર કર્યું એ સાથે આરક્ષણની રાજનીતિનું એક આખું ચક્ર પૂરું થયું છે. 
પ્રશ્ન એ છે કે આ આરક્ષણ સાચે જ કલ્યાણકારી સાબિત થશે કે પછી માત્ર રાજકીય ‘રમત’ બનીને રહી જશે? એનો આછો જવાબ ગુજરાતના રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ આપે છે. ૧૯૮૧ અને ૧૯૮૫નાં આંદોલનને યાદ કરીને તેઓ લખે છે...

‘ગુજરાતમાં આર્થિક વિકાસની સાથે માધ્યમ વર્ગનો પણ તોતિંગ વિકાસ થયો છે, પણ એ તેમની જરૂરિયાતો સંતોષી શકતો નથી કે નથી એનો પારંપરિક દરજ્જો જાળવી શક્યો, પરિણામે વંચિત હોવાનો અનુભવ કરે છે. ઉચ્ચ અને મધ્યમ જાતિના લોકોને નીચલી જાતિને મળતા મહત્ત્વની ઈર્ષ્યા થાય છે. અનામત વિરોધી બે અંદોલનો મૂળભૂત રીતે ઉચ્ચ અને મધ્યમ વર્ગ તેમ જ નીચલી જાતિના વર્ગ વચ્ચેનો સંઘર્ષ હતો. એમાં મીડિયા, શિક્ષણ, બ્યુરોક્રસી અને પોલીસને નિયંત્રિત કરતા મૂડીવાદી વર્ગનું સમર્થન હતું. વંચિત વર્ગોની આકાંક્ષાઓને સંતોષવા માટે અને મતો લેવા માટે રાજકીય વર્ગે આરક્ષણનો સહારો લીધો હતો, પરંતુ એમાં સામાજિક પરિવર્તનનો કોઈ દૃષ્ટિકોણ ન હોવાથી એ રાજકીય રમત બનીને રહી ગયું છે.’

લાસ્ટ લાઇન

‘જે દેશમાં લોકો ખુદને પછાત સાબિત કરવાની હોડમાં હોય એ દેશ આગળ કેવી રીતે વધી શકે?’

(વૉટ્સઍપ ફૉર્વર્ડ)

columnists raj goswami