કેવો હતો મુંબઈનો ફોર્ટ કહેતાં કિલ્લો? મુંબઈના કોટની એકાદ ઈંટ પણ આજે જોવા મળતી નથી

27 April, 2024 11:30 AM IST  |  Mumbai | Deepak Mehta

ગાંધીયુગના એક અગ્રણી કવિ સુન્દરમની સોનેટમાલા ‘એક કિલ્લાને તોડી પડાતો જોઈને’ની આ પંક્તિઓનો સાચો અર્થ પામવો હોય તો મુંબઈના કોટ વિસ્તારમાં લટાર મારવી

સેન્ટ થોમસ કથીડ્રલ અને કૉટનગ્રીન.

મજૂર અહીં સો પચાસ

ઘણ કોશ કોદાળી લૈ

મથે, પરમ જીર્ણ તોય

હજી વક્ષ તારે દૃઢે

ઝીંકે સતત ઘા ઉસાસભર ખિન્ન અંગાંગમાં.

જરા ખણણ, ધૂળગોટ,

ગબડે તૂટેલી ઇંટો,

અને ઢગ બની ઢળે

યુગયુગો ઊભેલી કથા;

પસાર સહુ થાય હ્ંયાથી,

નહીં જ આજ કોને વ્યથા

ગાંધીયુગના એક અગ્રણી કવિ સુન્દરમની સોનેટમાલા ‘એક કિલ્લાને તોડી પડાતો જોઈને’ની આ પંક્તિઓનો સાચો અર્થ પામવો હોય તો મુંબઈના કોટ વિસ્તારમાં લટાર મારવી. નામ ભલે કોટ કે ફોર્ટ, પણ આજે અહીં એ કિલ્લાની એકાદ ઈંટ પણ શોધી જડે એમ નથી. કારણ જે અંગ્રેજોએ આ કિલ્લો બાંધ્યો એ જ અંગ્રેજોએ વખત જતાં એને તોડી પાડ્યો. એ કિલ્લા પર અગાઉ એક તકતી ચોંટાડેલી હતી. એમાં જણાવ્યું હતું કે મુંબઈના આ કિલ્લાની દીવાલ ૧૭૧૬ના જૂનની પહેલી તારીખે પૂરેપૂરી બંધાઈ રહી હતી. ચાર્લ્સ બૂન એ વખતે બૉમ્બેના ગવર્નર હતા.

કિલ્લાના ત્રણ દરવાજા. દરિયા વાટે આવ-જા કરતા સૌકોઈ અપોલો બંદર ઊતરીને મુંબઈની ધરતી પર પગ મૂક્યા પછી સૌથી પહેલાં જોતા એ અપોલો ગેટ. માત્ર જોતા એટલું જ નહીં, એમાંથી પસાર થઈને કોટમાં દાખલ થતા. હા, કોટમાં દાખલ થતાં પહેલાં બહુ ઊંડી નહીં અને બહુ છીછરી પણ નહીં એવી ખાઈ પસાર કરવી પડતી. કોટ બંધાઈ રહ્યા પછી ખ્યાલ આવ્યો કે માત્ર દીવાલો મુંબઈનું રક્ષણ કરી શકે એમ નથી એટલે કોટની બહાર ખાઈ બનાવી. એમાં બારેમાસ પાણી રહેતું, ગંદું, ગંધારું. એટલે મચ્છરોની વસ્તી માણસો કરતાં વધુ. દિવસ દરમ્યાન દરવાજાની બહાર ખાઈ પર લાકડાનો ‘ડ્રૉપ ગેટ’ રહેતો જેના દ્વારા ખાઈ પસાર કરવી પડતી.

કિલ્લાની વધુ વાતો કરતાં પહેલાં ટકોરા મારીએ બીજા ગેટ ચર્ચ ગેટના બારણા પર. મુંબઈના કોટના ત્રણ ગેટમાંથી આ સૌથી વધુ જાણીતો. આજે બીજા ગેટની જેમ આ ગેટ પણ નથી રહ્યો, છતાં એનું નામ જળવાઈ રહ્યું છે. આ ચર્ચ સેન્ટ થોમસ કૅથીડ્રલ, જે આજના હૉર્નિમન સર્કલ પર આવેલું છે. એનો પાયો નખાયો હતો ૧૬૭૬માં, પણ એની પ્રતિષ્ઠા થઈ છેક ૧૭૧૮માં. કારણ વચમાં-વચમાં જુદાં-જુદાં કારણોને લીધે એનું બાંધકામ અટકી ગયું હતું. કોટ વિસ્તારમાં આવેલું આ પહેલું એંગ્લિકન ચર્ચ. આજે એની ગણના આખા દેશના જૂનામાં જૂના ચર્ચમાં થાય છે. કિલ્લાના જે દરવાજાથી શરૂ થતો રસ્તો સીધો આ ચર્ચ તરફ લઈ જતો હતો એ દરવાજાનું નામ પડ્યું ચર્ચગેટ. એ ગેટમાંથી બહાર નીકળ્યા પછી વિશાળ મેદાન આવતું અને એમાં હતી એક મસમોટી પવનચક્કી. આજે જ્યાં વિદેશ સંચાર નિગમની બહુમાળી ઇમારત આવેલી છે એ જગ્યાએ પહેલાં રાણી વિક્ટોરિયાનું ખૂબ સુંદર પૂતળું હતું. ૧૮૭૨ની ૨૯ એપ્રિલે એ પૂતળું મુકાયું એ પહેલાં એ જગ્યાએ આ પવનચક્કી હતી. પવનચક્કીથી થોડે દૂરથી દરિયાકિનારો શરૂ થતો. આ તરફ જતો એક રસ્તો આજે તો કેડી લાગે એવો અને એનું નામ પડ્યું ચર્ચગેટ સ્ટ્રીટ. પછી લગભગ એ રસ્તાને છેડે બંધાયું બૉમ્બે બરોડા ઍન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે સ્ટેશન અને એનું નામ પડ્યું ચર્ચગેટ સ્ટેશન. એનું નામ બદલવાનું ભૂત વચ્ચે-વચ્ચે ધૂણવા માંડે છે, પણ હજી સુધી તો અસલી નામ બચી ગયું છે, પણ હા, ચર્ચગેટ સ્ટ્રીટનું નામ બદલાઈને થયું છે વીર નરીમાન રોડ.

પણ આપણે પાછા સેન્ટ થોમસ પાસે જઈએ. મુંબઈના વિકાસનું સપનું જોનાર જ નહીં, આપણા આ શહેરના ઘડતર અને ચણતરમાં ઘણી દિશામાં પહેલ કરનાર મુંબઈના ગવર્નર જેરાલ્ડ ઑન્ગિયરે આ ચર્ચ બાંધવાની પહેલ કરી. આ વિસ્તાર ત્યારે કૉટનગ્રીન તરીકે ઓળખાતો. ચોમાસાને બાદ કરતાં ઇંગ્લૅન્ડ મોકલવા માટે અહીં રૂ કહેતાં કપાસની લાખો ગાંસડીઓ ખુલ્લામાં પડી રહેતી એટલે આ જગ્યાનું નામ પડ્યું કૉટનગ્રીન. પોર્ટુગીઝોએ બાંધેલો બૉમ્બે કૅસલ પણ નજીકમાં. ચર્ચ બાંધવાનું શરૂ તો કર્યું, પણ એ બંધાઈ રહ્યું ૪૦ વર્ષ પછી. ૧૭૧૫થી બાંધકામ પુરજોશમાં શરૂ થયું અને ૧૭૧૮માં પૂરું થયું. ૧૭૧૮ના નાતાલના દિવસે એમાં ‘સર્વિસ’ શરૂ થઈ. ૧૮૩૭ના જુલાઈમાં એને કૅથીડ્રલનો દરજ્જો આપવામાં આવ્યો અને મુંબઈમાં પહેલા બિશપ તરીકે થોમસ કારની નિમણૂક થઈ. ૧૮૩૮માં અસલ ઇમારતમાં ટાવર અને ક્લૉક (ઘડિયાળ) ઉમેરાયાં. ૧૮૭૦માં કાવસજી જહાંગીર રેડીમનીએ આ ચર્ચને એક સુંદર ફુવારો ભેટ આપ્યો હતો જે આજે પણ મુખ્ય પ્રવેશદ્વાર પાસે જોઈ શકાય છે. દાયકાઓ સુધી આ ચર્ચને મુંબઈનું ‘ઝીરો પૉઇન્ટ’ ગણવામાં આવતું એટલે કે આ ચર્ચને ઝીરો માનીને એનાથી દૂર માહિમ સુધી કુલ ૧૬ માઇલ સ્ટોન મૂકવામાં આવેલા. આ ૧૬માંથી ૧૧ની ભાળ મળી છે.

બૉમ્બેનો ફોર્ટ બંધાઈ રહ્યા પછી અને ૧૭૯૦ પહેલાં ક્યારેક કિલ્લા બહારનો પહેલો મોટો રસ્તો બંધાયો. ૧૭૭૧થી ૧૭૮૪ સુધી મુંબઈના ગવર્નર રહી ચૂકેલા વિલિયમ હૉર્નબીના માનમાં એ રસ્તાને નામ અપાયું હૉર્નબી રો. આ ‘રો’ શબ્દ ‘રોડ’નો સમાનાર્થી. મુંબઈના બીજા કેટલાક રસ્તાનાં નામ સાથે પણ ‘રોડ’ને બદલે ‘રો’ વપરાતો. જેમ કે રામપાર્ટ રો, ક્રૂકશેંક રો. પણ પછી અહીંના લોકોને આ ‘રો’નો અર્થ પલ્લે ન પડતાં ‘રો’ની જગ્યાએ ‘રોડ’ મુકાતું થયું. અસલમાં આ રસ્તો કર્નાકબંદર પાસેથી શરૂ થતો અને બોરીબંદર પાસે પૂરો થતો. પછી ધીમે-ધીમે એને પહેલાં ચર્ચગેટ સ્ટ્રીટ સુધી અને પછી અપોલો બંદર સુધી લંબાવવામાં આવ્યો. આજે આ રોડના જુદા-જુદા હિસ્સાને જુદાં-જુદાં નામ અપાયાં છે. એમાં એક મોટા હિસ્સાનું નામ ડૉક્ટર દાદાભાઈ નવરોજી રોડ.

અને ત્રીજો દરવાજો એ બજાર ગેટ. બીજા બે કરતાં કદમાં લગભગ બમણો. અહીં વચમાં એક મોટો દરવાજો અને એની બન્ને બાજુએ એક-એક નાના દરવાજા હતા એટલે ‘દેશી’ લોકો એને ત્રણ દરવાજા તરીકે પણ ઓળખતા. બોરીબંદરથી શરૂ થઈને એલ્ફિન્સ્ટન સર્કલ (આજનું હૉર્નિમન સર્કલ) સુધી જતા રસ્તાનું નામ પણ હતું બજારગેટ સ્ટ્રીટ અને અહીં લોકોનો આવરોજાવરો પણ ઘણો વધારે. એક જમાનામાં અહીંની બજાર એ મુંબઈની સૌથી મોટી બજાર. દિવસ દરમ્યાન આ દરવાજામાંથી વેપારીઓ અને ઘરાકોની આવજા સતત ચાલુ રહેતી.

એક જમાનામાં અવિનાશ વ્યાસનો આ ગરબો ખૂબ જાણીતો થયેલો ઃ

અલી ઓ રે, બજાર વચ્ચે બજાણિયો,

જોને બજાવે ઢોલ,

કેમ સહ્યું જાય રે લોલ!

એ ગરબાની જેમ આજે બજારગેટ પણ ભુલાઈ ગયો છે. એના પરથી નામ પડેલું એ સ્ટ્રીટનું નામ પણ બદલાઈ ગયું છે. હા, આ લખનાર જેવા જૂના જમાનાના લોકો હજી વાતચચીતમાં ‘બજારગેટ સ્ટ્રીટ’બોલે છે ખરા!

ત્રણ દરવાજાનાં તો નામ પણ બચ્યાં છે લોકોની યાદદાસ્તમાં, પણ બૉમ્બેના ફોર્ટના બેસ્ટિયન કહેતાં બુરજનાં તો નામ સુધ્ધાં હંમેશ માટે ભુલાઈ ગયાં છે. એમાંનાં કેટલાંક નામ ઃ ફ્લાવર ટ્રી બેસ્ટિયન બ્રેબ ટ્રી બેસ્ટિયન, ફ્લૅગ સ્ટાફ બેસ્ટિયન. આ ત્રણે અસલ પોર્ટુગીઝોએ બાંધેલા બૉમ્બે કૅસલના ભાગ હતા જે પોતે બાંધેલા કિલ્લામાં અંગ્રેજોએ સમાવી લીધા હતા. એમાં બ્રેબ ટ્રી સાથે એક રોચક વાત સંકળાયેલી છે. બ્રેબ ટ્રી એટલે તાડ કે ખજૂરનું ઝાડ. અસલ કિલ્લામાં આ જગ્યાએ આવાં ઘણાં બધાં ઝાડ હતાં અને ખાસ્સાં ઊંચાં હતાં. એ વખતે અહીં દીવાદાંડી નહોતી, પણ દરિયામાં દૂર-દૂરથી પણ ઝાડનું આ ઝુંડ દેખાતું એટલે એ દેખાય કે તરત ખલાસીઓ સમજી જતા કે હવે બૉમ્બેનો કિનારો નજીકમાં છે. અંગ્રેજોએ બાંધેલા કિલ્લાના કેટલાક બેસ્ટિયન કહેતાં બુરજનાં નામ ઃ રૉયલ, માલબરો, સ્ટેનહૉપ, ચર્ચ (ચર્ચગેટ નજીક), મૂર, બનિયન (વડનું ઝાડ), પ્રિન્સેસ, ટૅન્ક (તળાવ), ફ્લૅગ સ્ટાફ અને નૉર્થ-ઈસ્ટ બેસ્ટિયન.

પણ કાંઈ ફક્ત કિલ્લો બાંધવાથી શહેરનું રક્ષણ થોડું થાય? એ માટે કિલ્લા પર ઠેર-ઠેર તોપ ગોઠવવી પડે. આ રીતે જ્યાં બે કે એથી વધુ તોપ ગોઠવી હોય એને લશ્કરની પરિભાષામાં ‘બૅટરી’ કહે છે. પોર્ટુગીઝોએ બાંધેલો કિલ્લો પૂરો થાય અને અંગ્રેજોએ બાંધેલો શરૂ થાય ત્યાં પહેલી હતી બૉર્નબીઝ બૅટરી. બીજી બૅટરી હતી ડૉક બેસ્ટિયનની સાથે. ત્રીજી બૅટરી એ ટૅન્ક બૅટરી. આ ત્રણે બૅટરી પર સંખ્યાબંધ તોપો રહેતી. એ ઉપરાંત આખા કિલ્લાની રાંગ પર તો ઠેર-ઠેર તોપ ગોઠવેલી હતી જ, પણ દારૂગોળા વગરની તોપ તો શોભાના ગાંઠિયા જેવી! એટલે બધી તોપો માટેનો જરૂરી દારૂગોળો અને બીજો શસ્ત્રસરંજામ સંઘરવા માટે કિલ્લામાં એક મૅગેઝિન કહેતાં દારૂખાનું પણ હતું. એ કિલ્લાના બોરીબંદર નજીકના છેડા પર આવેલું હતું. એ વિસ્તારની એક જગ્યા આજે પણ ‘દારૂખાના’ તરીકે ઓળખાય છે, જ્યાં મુંબઈનું સૌથી મોટું ભંગારબજાર આવેલું છે જે ચોવીસ કલાક ઉઘાડું રહે છે.

કિલ્લાના આ બધા ભાગો પરથી કેટલાક રસ્તાનાં નામ પણ પડેલાં; જેમ કે બેસ્ટિયન રોડ, બૅટરી સ્ટ્રીટ, રેવલિન સ્ટ્રીટ, રામપાર્ટ રો વગેરે. માંડવી બંદરથી અપોલો બંદર સુધીના દરિયાના કાંઠે-કાંઠે કોટની દીવાલ અડીખમ ઊભી હતી. તોપોનાં મોઢાં દરિયા તરફ અને જમીન તરફ એમ બન્ને બાજુએ તાકેલાં રહેતાં. 

પણ મુંબઈનો આ કિલ્લો બાંધવા માટેનાં ફદિયાં આવ્યાં ક્યાંથી? એ વખતે હિન્દુસ્તાનમાં રાજ હતું કંપની સરકારનું અને એ હતી વેપારી કંપની. હજારો માઇલ દૂર આવેલા મુંબઈ માટે ગાંઠનાં ગોપીચંદન એ કંપની શું કામ કરે? ૧૭૦૪ની ૧૨ જાન્યુઆરીએ લંડનમાં બેઠેલા ડિરેક્ટરોએ કિલ્લો બાંધવાની માત્ર મંજૂરી આપી, પણ એ બાંધવા માટે કાણી કોડીય નહીં. મુંબઈવાળા કહે, ‘પૈસા વગર કિલ્લો બાંધીએ કઈ રીતે’ લંડનવાળા કહે, ‘અમે તમને ૬ ટકા વ્યાજે પૈસા આપીશું, પણ ૧૫ વર્ષમાં તમારે એ વ્યાજ સાથે પાછા આપવાના.’ મુંબઈવાળા કહે, ‘અમારે એ માટે ખાસ વધારાનો એક ટકો ટૅક્સ નાખવો પડશે. ૧૭૧૦માં આ ટૅક્સ નાખવાની મંજૂરી લંડનથી મળી. ૧૭૧૬માં કિલ્લો બંધાઈ રહ્યો ત્યાં સુધી મુંબઈના લોકોએ આ એક ટકો વધારાનો ટૅક્સ ભર્યો, પણ એટલાથી કામ પૂરું થાય એમ નહોતું એટલે મુંબઈ સરકારે વેપારીઓ પાસેથી ‘સ્વૈચ્છિક ફન્ડફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું. અહીંના વેપારીઓએ કહ્યું કે ‘પરદેશથી જેકાંઈ માલસામાન દરિયાઈ માર્ગે આયાત થાય એની કિંમતના બે ટકા જેટલો ટૅક્સ અમે સરકારને આપીશું.’ સરકાર બી રાજી અને વેપારીઓ બી રાજી.

સરકારનું તો જાણે સમજ્યા, પણ વેપારીઓ? એની વાત અને મુંબઈના કોટની બીજી પણ કેટલીક મજેદાર વાતો હવે પછી.

 

columnists deepak mehta mumbai mumbai news