દશેરા અને નવદુર્ગા : આજે એટલું નક્કી કરો કે તમે જ્યાં હો ત્યાં દીકરીઓ સુરક્ષિત રહેશે

05 October, 2022 11:42 AM IST  |  Mumbai | Manoj Joshi

દીકરીઓનું ધ્યાન રાખવું એ પુરુષનો પહેલો ધર્મ છે અને આ ધર્મ નિભાવવા માટે તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે કે તમે તેમને આર્થિક મદદ કરો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

નવરાત્રિએ વિદાય લીધી છે. આજે નવરાત્રિ પછીનો વિજયાદશમીનો દિવસ આવી ગયો છે. આજે એક વાત કહેવાનું મન થાય છે કે નવરાત્રિમાં બીજી કોઈ આરાધના ન કરી હોય તો વાંધો નહીં, કોઈ શક્તિનું પૂજન ન કરી શક્યા હો તો વાંધો નહીં, પણ ઍટ લીસ્ટ એટલું નક્કી કરજો કે સાક્ષાત્ નવદુર્ગા સમાન દીકરીઓની પૂજા કરીશું. એટલું નક્કી રાખજો કે સાક્ષાત્ નવદુર્ગા સમાન દીકરીઓ જરાય દુખી ન થાય અને તેના સુખમાં ક્યાંક ને ક્યાંક તમે સહભાગી બનજો. અહીં એક નાનકડી સ્પષ્ટતા પણ કરવાની કે દીકરીઓ એટલે ઘરની દીકરીઓની જ વાત નથી. દીકરી એટલે સ્ત્રીજાતિની વાત છે અને સમગ્ર શક્તિમાં સમસ્ત નારીઓનો સમાવેશ થાય છે.

કબૂલ કે તમે સક્ષમ છો એટલે તમારી દીકરીઓ, બહેન કે ઘરની અન્ય સ્ત્રીસભ્યોને કોઈ તકલીફ નહીં પડતી હોય, પણ તમારી આજુબાજુ અક્ષમ હોય એવા અનેક પરિવારો છે જેમની બહેન-દીકરીઓ દુખી થઈ રહી છે. તમારા ઘરે કામ કરવા આવતાં બહેન પણ એમાં હોઈ શકે અને શાક વેચવા આવતી છોકરી પણ એ હોઈ શકે. દીકરીઓનું ધ્યાન રાખવું એ પુરુષનો પહેલો ધર્મ છે અને આ ધર્મ નિભાવવા માટે તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે કે તમે તેમને આર્થિક મદદ કરો. હું તો કહીશ કે બીજું કશું ન થઈ શકે તો વાંધો નહીં, આ નવરાત્રિએ નવ દીકરીઓના ભણતરની જવાબદારી તમે લઈ શકો. નવ દીકરીઓને એકવીસમી સદીને લાયક બનાવો. ઓછું ભણતર જ આ દેશને નીચે લઈ જવાનું કામ કરી ગયો છે. ભણતરથી શ્રેષ્ઠ દાન બીજું કોઈ નથી. જો તમે ઇચ્છતા હો કે કોઈને કાયમ માટે સુખી કરવા છે તો ભણતરનું દાન આપજો. આજીવિકા આપજો. ભણતર પછીના સ્થાને જો કંઈ આવે તો એ છે રોજીરોટી.

૯ દીકરીઓનું ભણતર દત્તક લેવામાં કોઈ મોટો ખર્ચ નથી થવાનો. એ દીકરીઓને ક્યાંય મોંઘીદાટ સ્કૂલમાં ભણવા માટે નથી મોકલવાની. તેના વિસ્તારમાં આવેલી સામાન્ય સ્કૂલમાં ઍડ્મિશન લેવડાવી દેશો તો પણ તેની ભણવાની ધગશ તેને આગળ લઈ આવવાનું કામ કરશે. સામાન્ય સ્કૂલની ફી અને ભણવાનો અન્ય ખર્ચ, આ બધાનો હિસાબ કરો તો વધીને ૧૫થી ૨૦ હજાર રૂપિયાનો ખર્ચ થાય. જો એ ખર્ચથી એક બાળકનું ભવિષ્ય સુધરી જવાનું હોય, એક કામવાળી બાઈને બદલે એક ક્લર્કનો જન્મ થવાનો હોય તો એનાથી ઉત્તમ બીજું કશું નથી, પણ એ માટે તમારે જિજ્ઞાસા અને ધગશ પણ દેખાડવી પડશે. મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે તમારે દુર્ગાના અવતારને હાથ આપવાનો છે. એક દીવો ન થયો હોય તો માતાજી માફ કરશે, જો તમે એ જ માડીની દીકરીઓને હાથ આપ્યો હશે તો, એ જ માડીની દીકરીમાં રહેલી શક્તિને ઉજાગર કરવાનું કામ કર્યું હશે તો. આજના આ વિજય પર્વ પર એક નિયમ એ પણ લેજો કે તમે જ્યાં હાજર હશો ત્યાં દીકરીઓ સલામત રહેશે! જીવ આપવો પડે તો જીવ આપી દેજો, પણ દીકરીની મશ્કરી પણ તમે ન થવા દેતા. જો પુરુષ આ કામ કરી શક્યો તો જગતની એકેય શક્તિ દુખી નહીં થાય અને એવું બન્યું તો પૃથ્વીલોક સ્વર્ગથી પણ વધારે સુંદર બનશે.

columnists manoj joshi