બીજાના ભલામાં આપણું ભલું

13 January, 2023 05:13 PM IST  |  Mumbai | Dr. Gyanvatsal Swami

ઉત્તરાયણની ખરી મજા માણવી હોય તો મુંબઈગરાએ અમદાવાદ કે સુરત જવું પડે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ઉત્સવોના મેળામાં એક રંગીન ઉત્સવ એટલે ઉત્તરાયણ. ઉત્તરાયણની ખરી મજા માણવી હોય તો મુંબઈગરાએ અમદાવાદ કે સુરત જવું પડે. ઉત્તરાયણની પૂર્વસંધ્યાથી જ લોકો પતંગોની કન્ના બાંધવામાં તેમ જ તલસાંકળી અને ચિક્કી બનાવવામાં મશગૂલ હોય. ઉત્તરાયણની સવારે સૂર્યોદય થતાં જ આકાશ વિવિધરંગી પતંગોથી છવાઈ જાય અને ‘કાઇપો છે... કાઇપો છે...’ના નારા અને રેડિયો ને ઑડિયો-પ્લેયરનાં સ્પીકરોથી વાતાવરણ ઑર જામ્યું હોય. જેકોઈ પતંગરસિયા હશે તેમણે તો પતંગ ચગાવવાની સાથે અવશ્ય કોઈકની કપાયેલી પતંગ પકડવાનો આનંદ પણ લૂંટ્યો જ હશે. હા, કોઈની કપાયેલી પતંગને લૂંટવી એ પણ એક આનંદ છે. આમેય મફતમાં મળતું હોય તો કોઈ પણ માણસ છોડે એમ નથી. આમ, કંઈક આપણને મહેનત વિના મળે તો એનો પણ આનંદ હોય છે.

પણ એથી પણ મોટો આનંદ જાતમહેનત કરીને કમાયેલા પૈસે જ્યારે પતંગ ખરીદીને કોઈ ચગાવે એનો છે, કારણ કે જાતે કમાયેલા પૈસાની કિંમત તે વ્યક્તિ સમજે છે, પરંતુ એથી પણ વિશેષ આનંદ જાતે કમાયેલા પૈસાથી ખરીદેલી પતંગ પોતાના સંતાનને આપવાનો છે અને એથીય વિશેષ આનંદ જાતે કમાયેલા પૈસાથી ખરીદેલી પતંગ કોઈ ગરીબને આપવાની છે. કારણ કે એમાં સ્વાર્થ નહીં, પણ પરોપકારની ભાવના છે. આમેય ઉત્તરાયણ એ દાનનું જ તો પર્વ છે. અલબત્ત, આ આનંદ સૌના નહીં, પણ કોઈક ભાગ્યશાળીના લલાટે જ લખાયો હોય છે, પરંતુ એથી પણ વિશેષ આનંદ પોતાના પૈસે ગરીબને દાન આપીને ભૂલી જવાનો છે કે મેં આવું દાન કોઈને આપ્યું છે. આવું પરમ સૌભાગ્ય તો કોઈ મહાપુરુષો જ ભોગવતા હોય છે.

આ પણ વાંચો :  અફસોસને આસન કદી જો આપશું...

સન ૧૯૯૯માં પ્રમુખસ્વામી મહારાજ ધર્મયાત્રા માટે વિદેશ પધાર્યા હતા. ત્યાં તેમના પર એક પત્ર આવ્યો. જે ખેડબ્રહ્માથી ૬ કિલોમીટર દૂર આવેલા આદિવાસી ગામ હિંગટિયાથી રેશમા પારઘી નામે એક આદિવાસી ભાઈએ પોતાની તળપદી ભાષામાં લખ્યો હતો. પ્રમુખસ્વામી મહારાજ અને તેમના પત્રવ્યવહારમાં મદદ કરતા સંત બન્નેએ પૂરેપૂરો પ્રયત્ન કરી એને ઉકેલવાનો, પણ કોઈ રીતે શક્ય ન બનતાં એ પત્ર પર ટપાલ ખાતાનો ખેડબ્રહ્માનો સિક્કો જોઈને એ વિસ્તારમાં વિચરણ કરતા સંતને ફોન કર્યો. મોબાઇલ ફોનનો એ જમાનો નહોતો એથી ૩-૪ ફોન કરતાં તે સંત સાથે સંપર્ક શક્ય બન્યો. ત્યાર બાદ સ્વામીજીએ આવો પત્ર આ ગામમાંથી આવ્યો છે એમ એ સંતને જાણ કરીને એ વ્યક્તિને શો પ્રશ્ન છે એ જાણીને પોતાને બનતી ત્વરાએ વિગત જણાવવા કહ્યું. સંત હિંગટિયા જઈને એ આદિવાસી ભાઈને રૂબરૂ મળ્યા અને જાણ્યું કે ગામમાં પાણીની તંગી છે, એક જ કૂવો છે અને એનો હૅન્ડપમ્પ બગડી ગયો છે એથી એને રિપેર કરી આપવાની માગણી છે. આ જાણી પ્રમુખસ્વામી મહારાજે એ સંતને તાત્કાલિક એ ગામની આ તકલીફ દૂર કરવા તાકીદ કરી અને સ્વામીજીના આદેશ પ્રમાણે એ સંતે નવો હૅન્ડપમ્પ ફિટ કરાવી આપીને ગામનો પાણીનો પ્રશ્ન હલ કર્યો.

પોતાનો જમણો હાથ દાન કરે તો ડાબા હાથને પણ ખબર ન પડે તે પ્રમુખસ્વામી મહારાજ. કોઈ દિવસ તેમણે કોઈને પણ આ પોતે કરેલા મદદની વાત કરી નહોતી, કારણ કે આવો પરોપકારનો પ્રસંગ તેમની જીવનકિતાબના વચલા પાને નહીં, પણ પાને-પાને થતો હતો. આવા તો કેટલાય રેશમા પારઘી તેમની કરુણાગંગામાં રોજબરોજ સ્નાન કરતા રહેતા. નાના-મોટા સૌમાં ભગવાન જોવાની દૃષ્ટિ હોય તો જ નિઃસ્વાર્થ અને મૂકસેવાનો આ આદર્શ સિદ્ધ થાય.

આ પણ વાંચો : સ્વકેન્દ્રીપણાનો સાપ અને સંવાદિતાની સીડી

એટલું જ નહીં, જે રેશમા પારઘીને સ્વામીજી મદદ કરી રહ્યા હતા એથી પણ અનેકગણી મોટી મદદ તેઓ પૂર્વે એ જ વ્યક્તિને કરી ચૂક્યા હતા. અનેક વ્યસનો-દૂષણોમાં ડૂબલા એ વ્યક્તિ અને તેના મિત્રોને માણસાઈના પાઠ શીખવી એક ભક્તની કક્ષામાં મૂકી દીધા હતા.

ખરેખર, પ્રમુખસ્વામી મહારાજ કેવળ બોલતા જ નહોતા કે બીજાના ભલામાં આપણું ભલું છે, પણ સાચા અર્થમાં જીવતા હતા.

લેખક બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત અને મૉટિવેશનલ સ્પીકર છે. તેમનો સંપર્ક કરી શકાય 
feedback@mid-day.com પર

columnists makar sankranti