મેરા સાથ, સબકા વિકાસ

20 January, 2023 05:50 PM IST  |  Mumbai | Dr. Gyanvatsal Swami

આપણને સૌને ઇચ્છા છે કે ભારત સુપરપાવર બને, પરંતુ વિચિત્રતા એ છે કે એ માટે આપણી બીજા પ્રત્યેની અપેક્ષાઓ આપણી પોતાની તૈયારી કરતાં અનેકગણી હોય છે.

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

વિશ્વપ્રસિદ્ધ મૅનેજમેન્ટ ગુરુ સ્ટીફન કવિના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. The 7 Habits of Highly Effective People, First things First વગેરે અનેક પ્રખ્યાત પુસ્તકોના લેખક, બિઝનેસમૅન અને વક્તા એવા તેઓ 8th Habit – From Effectiveness to Greatness વિષયના સેમિનાર માટે ભારતમાં મુંબઈ આવવાના હતા. એ જાણ થતાં જ માત્ર દોઢ મિનિટમાં ૭૦૦ ટિકિટ વેચાઈ ગઈ અને એ પણ ઑનલાઇન, જેમાં એક વ્યક્તિની ફી હતી ૨૩,૦૦૦ રૂપિયા. સ્પૉન્સરશિપને બાદ કરતાં ગણીએ તો આ એક સેમિનારમાં તેઓ દોઢ કરોડ રૂપિયા કમાયા. ભારતમાં આવા ચાર સેમિનાર કર્યા. મુંબઈમાં જે સેમિનાર થયો એનો સાર બીજા દિવસે એક દૈનિકમાં એક લીટીમાં બોલ્ડ લેટર્સમાં છપાયો : Don’t expect others to change. Change yourself, others will follow. બીજાને સુધારવાની આશા ન સેવો. તમે સુધરો તો બીજા પણ પ્રેરાશે.

આ આપણા સૌ માટેનો સંદેશ છે. આપણને સૌને ઇચ્છા છે કે ભારત સુપરપાવર બને, પરંતુ વિચિત્રતા એ છે કે એ માટે આપણી બીજા પ્રત્યેની અપેક્ષાઓ આપણી પોતાની તૈયારી કરતાં અનેકગણી હોય છે. આપણા લાડીલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ તેમનાં પ્રવચનોમાં સમજાવતા કે ભારતીય સિંગાપોરમાં ફરતો હોય ત્યારે ભૂલથી પણ ગમે ત્યાં કચરો નાખતો નથી, પણ એ જ રીતભાત ભારતમાં રહેતી નથી. જે ભારતીય અમેરિકાના રસ્તા પર ગાડી હંકારે ત્યારે ટ્રાફિક પોલિસની ગેરહાજરીમાં પણ ટ્રાફિકના બધા જ નિયમોનું પાલન કરે છે તે ભારતના રસ્તા પર ટ્રાફિકના નિયમો નેવે મૂકી દે છે. ઘણી વાર એવા શબ્દો પણ સાંભળવામાં આવે છે કે અહીં ક્યાં કોઈ પાળે છે? પણ તમે પહેલ તો કરી જુઓ? ભલે બીજા ન પાળતા હોય, તમે તો પાળી જુઓ? આ જ સંદર્ભમાં અમેરિકન પ્રમુખ કેનેડીનું વિધાન સાર્થક બને છે કે Ask not what your country can do for you, ask what you can do for your country. અર્થાત્ એમ ન પૂછો કે તમારો દેશ તમારા માટે શું કરશે, પણ એમ પૂછો કે તમે દેશ માટે શું કરશો.

આ પણ વાંચો : ...તો આપત્તિ પણ ઉત્સવ બની જાય

આપણા દરેકના અંતરમાં આપણા દેશની અસ્મિતા છે અને હોવી જ જોઈએ અને એટલે જ દેશને સુધારવાની ઘણી વાતોમાં અઢળક સમય વ્યતીત કરીએ છીએ, પણ દેશને સુધારતાં પૂર્વે આપણે સુધરીએ એ સૌથી મહત્ત્વનું છે.

પ્રમુખસ્વામી મહારાજ સાવ સરળ દૃષ્ટાંત દ્વારા આ બાબત સમજાવતા. એક વાર એક તોફાની પુત્રને શાંત પાડવા પિતાએ તેને બૌદ્ધિક કસરત આપી. ભારતના નકશાના ટુકડા કરી દીધા અને એને જોડીને ભારતનો નકશો બનાવવા કહ્યું. પિતાને એમ કે પુત્રને ઓછામાં ઓછો અડધો કલાક તો થશે જ. જોકે દીકરો તોફાની તો હતો જ, પરંતુ તેજસ્વી પણ. તેણે માત્ર બે-ત્રણ મિનિટમાં જ ભારતનો નકશો તૈયાર કરીને આપી દીધો. પિતાને આશ્ચર્ય થયું અને પૂછ્યું ત્યારે ખબર પડી કે ભારતના નકશાની પાછળની બાજુએ એક માણસનું ચિત્ર છે. તેથી પુત્રએ ભારતના નકશાને જોડવાને બદલે માણસને જોડીને એને ઊંધો કર્યો તો પાછળ ભારતનો નકશો પણ આપોઆપ તૈયાર થઈ ગયો. આખા ભારતને સુધારવામાં કદાચ એક શું અનેક જિંદગીઓ ઓછી પડે, પણ પોતે સુધરવું એ તો પોતાના હાથમાં છે અને સ્ટીફન કવિએ કહ્યું એમ એ બીજાને પણ પ્રેરણા આપે છે.

કદાચ મોદીસાહેબે આપેલા સૂત્ર ‘સબકા સાથ, સબકા વિકાસ’ને પણ સુધારીને કહેવું પડશે કે ‘મેરા સાથ, સબકા વિકાસ’. તો આવતા પ્રજાસત્તાક દિનની ઉજવણી સાચી બને.

લેખક બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત અને મૉટિવેશનલ સ્પીકર છે. તેમનો સંપર્ક કરી શકાય 
feedback@mid-day.com પર

columnists narendra modi apj abdul kalam