અલગથી ક્રિટિકલ ઇલનેસ પૉલિસી લેવાનું શું મહત્ત્વ છે?

02 December, 2019 10:46 AM IST  |  Mumbai | Khyati Mashru - Vashani

અલગથી ક્રિટિકલ ઇલનેસ પૉલિસી લેવાનું શું મહત્ત્વ છે?

ક્રિટિકલ ઇલનેસ પૉલિસી (PC : memetics)

વેલ્થ મૅનેજમેન્ટ : ફાઇનૅન્શિયલ પ્લાનિંગમાં જીવન વીમો અને આરોગ્ય વીમો એ બન્નેથી શરૂઆત કરવામાં આવે છે. આજકાલ ક્રિટિકલ ઇલનેસ પૉલિસી પણ મળવા લાગી છે. વર્તમાન સમયમાં લોકોમાં જોવા મળતી ગંભીર અને અસાધ્ય બીમારીઓને અનુલક્ષીને આ પ્રકારની પૉલિસી આપવામાં આવવા માંડી છે. આપણે એ લેતાં પહેલાં સામાન્ય આરોગ્ય વીમા અને જીવન વીમાથી એ કઈ રીતે અલગ પડે છે એની જાણકારી મેળવી લેવી જોઈએ.

ક્રિટિકલ ઇલનેસ એટલે શું?
કૅન્સર, કિડની ફેલ્યર, બાયપાસ સર્જરી, હાર્ટ-અટૅક, હાર્ટ વાલ્વ સર્જરી, મોટા અવયવનું પ્રત્યારોપણ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, પ્રાઇમરી પલ્મોનરી આર્ટરિયલ હાઇપરટેન્શન, પૅરૅલિસિસ, કોમા, પૂર્ણ અંધત્વ અને સ્ટ્રોક એ બધી તકલીફોને ક્રિટિકલ ઇલનેસ કહેવાય છે અને આ પ્રકારની પૉલિસીમાં આવરી લેવાય છે.

ઉક્ત બીમારીઓનાં નામ વાંચીને જ ખ્યાલ આવે છે કે લાંબા સમય સુધી આર્થિક અને અંગત જીવન પર અસર કરનારી આ તકલીફો છે. રોજગાર રળવામાં પણ તકલીફ ઊભી કરનારી આ બીમારીઓ છે. અમુક કેસમાં ઘરની એકમાત્ર કમાનાર વ્યક્તિને આવી બીમારી થઈ જાય તો સમગ્ર પરિવારનું જીવન દોહ્યલું બની જાય છે.

આ બાબતોને અનુલક્ષીને ક્રિટિકલ બીમારીઓનો સામનો કરવાની તૈયારી રાખવી જોઈએ, જેથી ભવિષ્યમાં પરિવારજનોએ તેનો આર્થિક બોજ વેઠવો ન પડે. આથી જ ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યૉરન્સ દ્વારા રક્ષણ મેળવી લેવું જોઈએ. જોકે લોકો ક્રિટિકલ ઇલનેસ પૉલિસી લેતી વખતે આ પ્રમાણેની કેટલીક ભૂલો કરે છે, જેનાથી દરેકે બચીને રહેવું જોઈએ ઃ

• ઘણા લોકો આવી પૉલિસી ટૂંકા ગાળા માટે જ લેતા હોય છે. મોટા ભાગની જીવન વીમા કંપનીઓ જીવન વીમાની સાથે જ ક્રિટિકલ ઇલનેસ પૉલિસી પણ આપતા હોય છે. જીવન વીમા પૉલિસી પાકી જાય ત્યારે ક્રિટિકલ ઇલનેસ કવરનો સમયગાળો પણ પૂરો થઈ જાય છે. વાસ્તવમાં આવી બીમારી કોઈ પણ ઉંમરે આવી શકે છે, એથી એની સામેનું રક્ષણ આજીવન હોવું જોઈએ.

• આવી પૉલિસી હેઠળનું કવર ઓછી રકમનું હોય એ બરાબર ન કહેવાય. આજકાલ આરોગ્ય સેવાના ખર્ચ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે ક્રિટિકલ ઇલનેસ કવર મોટી રકમનું હોવું જોઈએ.

નોંધનીય છે કે મોટા ભાગની વીમા કંપનીઓના અંદાજ મુજબ આગામી સમયમાં શ્વસનની બીમારીઓ, હૃદયની બીમારીઓ, કૅન્સર, અકસ્માત વગેરે ગંભીર બીમારીઓ વધવાની છે.

સામાન્ય આરોગ્ય વીમા ઉપરાંત ક્રિટિકલ ઇલનેસ પૉલિસી કાઢવાનું શું પ્રયોજન?
ક્રિટિકલ ઇલનેસને કારણે જો કમાનાર વ્યક્તિ રોજગાર રળવાને અસમર્થ બની જાય તો પરિવારજનો પર ગંભીર આર્થિક બોજ આવી પડે છે. આગામી સમયમાં આવી બીમારીઓની સારવારનો ખર્ચ બે લાખ રૂપિયાથી શરૂ થઈને ૪૦થી ૫૦ લાખ રૂપિયા સુધી જઈ શકે છે. આથી સામાન્ય આરોગ્ય વીમા ઉપરાંત ક્રિટિકલ ઇલનેસ વીમો કઢાવી લેવો જોઈએ, કારણ કે સામાન્ય વીમો બીજી અનેક પ્રકારની બીમારીઓ વખતે કામે આવે છે અને જો એમાં જ બધી રકમ ખર્ચાઈ જાય તો ગંભીર બીમારી સામેનું આર્થિક રક્ષણ મેળવવાનું મુશ્કેલ બની જાય છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

આથી ફરી એક વાર કહેવાનું કે ક્રિટિકલ ઇલનેસ પ્લાન કમાનાર વ્યક્તિની ગંભીર બીમારી વખતે આવકનો વિકલ્પ પણ બની શકે છે. એનું કારણ એ છે કે ગંભીર બીમારીનું નિદાન થયે આ પૉલિસી હેઠળ કરમુક્ત મોટી રકમ મેળવી શકાય છે. આથી એનો ઉપયોગ કરીને પરિવારને આર્થિક રક્ષણ આપવું જોઈએ.

khyati@plantrich.in

business news health tips