13 April, 2021 10:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘઉં
દેશમાં ઘઉંના અગ્રણી ઉત્પાદક રાજ્ય એવા પંજાબમાંથી સરકાર દ્વારા ઘઉંની મોટા પાયે ખરીદી થતી હોવાથી કેટલાક વેપારીઓ દ્વારા ગેરકાયદે બિહાર અને બીજાં રાજ્યોમાંથી ઘઉં નીચા ભાવથી ખરીદીને પંજાબમાં ઠાલવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ પંજાબમાં ટેકાના ભાવથી વેચાણ કરવાની ગેરરીતિ બહાર આવી છે.
પંજાબના દાના મંડીમાં ૨૫ જેટલી ટ્રકમાં આ પ્રકારના ઘઉં પકડાયા હતા, જે બિહાર અને બીજાં રાજ્યમાંથી લાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ બિહાર અને બીજાં રાજ્યોમાંથી પ્રતિ ક્વિન્ટલ ૧૧૦૦ રૂપિયાના ભાવથી ઘઉં ખરીદવામાં આવ્યા હતા અને પંજાબમાં સરકારી એજન્સીને આશરે ૧૯૭૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવથી વેચાણ કરવામાં આવ્યા હતા. ટ્રાન્સપોર્ટ અને અન્ય ખર્ચ પ્રતિ ક્વિન્ટલ ૨૨૫ રૂપિયા ગણવામાં આવે તો પણ આવો ધંધો કરનારને મોટા પાયે નફો મળતો હોય છે. ટ્રેડરોને ગેરકાયદે બિઝનેસમાં એક ટ્રક દીઠ આશરે ૨ લાખ રૂપિયાનો નફો મળતો હોય છે.