NBFCની એસેટ્સ ગુણવત્તાની હાલ કોઇ યોજના નથી : RBI ગવર્નર

20 August, 2019 07:20 PM IST  |  Mumbai

NBFCની એસેટ્સ ગુણવત્તાની હાલ કોઇ યોજના નથી : RBI ગવર્નર

RBI ગવર્નર શક્તિકાંત દાસ

Mumbai : લગભગ 50 નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCs) અને મોર્ગેજ ફર્મ્સ પર RBIની ચાંપતી નજર છે. જોકે, NBFC સેક્ટરની એસેટ્સની સમીક્ષા કરવાની હાલ કોઈ યોજના નથી એવી માહિતી RBI ગવર્નર શક્તિકાંત દાસે આપી છે. તેમણે જણાવ્યું હતું કે, અર્થતંત્ર કેટલાક પડકારોનો સામનો કરી રહ્યું છે, પણ પોઝિટિવ આઉટલૂક રાખવું મહત્ત્વનું છે. તેમણે બેન્કોને ઘટી રહેલા રોકાણ વચ્ચે ધીરાણ વૃદ્ધિને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું.

હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે : RBI
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, "હાલ (NBFCs માટે) એસેટ્સની સમીક્ષા કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. લગભગ 50 NBFCs અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જેમાં કેપિટલ એડિક્વસી, સ્થિરતા, રોકાડની આવક અને જાવક સહિત કામગીરીનાં તમામ પાસાંનો સમાવેશ થાય છે." 

ફાઇનાન્શિયલ સેક્ટરમાં ધીમી વૃદ્ધિથી ચિંતા કરવાની જરૂર નથી
તેમણે જણાવ્યું હતું કે, "ફાઇનાન્શિયલ સેક્ટરે ધીમી વૃદ્ધિથી બહુ ચિંતિત થવાની જરૂર નથી." FICCI દ્વારા આયોજિત વાર્ષિક બેન્કિંગ કોન્ક્લેવમાં બોલતાં તેમણે કહ્યું હતું કે, 'હું દરેક મુશ્કેલીને હસીને પસાર કરવાની વાત કરતો નથી, પણ કોઈ પણ વાસ્તવિક અર્થતંત્રમાં મૂડી બહુ મહત્ત્વનો છે."

ઉલ્લેખનીય છે કે, વાહનોના વેચાણમાં ઘટાડો, નહીં વેચાયેલાં મકાનોમાં વૃદ્ધિ અને NBFCs સેક્ટરમાં તરલતાની ખેંચને પગલે રાહુલ બજાજ, એ એમ નાયક અને દીપક પારેખે છેલ્લાં કેટલાંક સપ્તાહમાં ધીમી આર્થિક વૃદ્ધિ તરફ ઇશારો કર્યો છે. 2018-'19માં ભારતનું અર્થતંત્ર 6.8 ટકાના દરે વધ્યું હતું, જે પાંચ વર્ષમાં સૌથી નીચો વૃદ્ધિદર છે. 

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

પહેલા ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગમાં ઔધ્યોગિક ઉત્પાદન ઘટ્યું
એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 23માંથી 11 મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ્સમાં ઔદ્યોગિક ઉત્પાદન ઘટ્યું છે. દાસે જણાવ્યું હતું કે, તકોને ઝડપી વિકાસને વેગ આપવો મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, "મારા મતે સેન્ટિમેન્ટ ઘણું મહત્ત્વનું છે. ભવિષ્યની તકો પર નજર કરો. અર્થતંત્રમાં પડકારો છે, જુદાં જુદાં સેક્ટર્સ સામે સમસ્યા છે, વૈશ્વિક અવરોધો છે. આ તમામ પડકારોમાંથી ભારત બાકાત રહી શકે નહીં. આવા માહોલમાં આપણે તકોને ઓળખી વૃદ્ધિ માટે પ્રયાસ કરવા જરૂરી છે." 

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરમાં IL&FSના ડિફોલ્ટ પછી ઊભી થયેલી ધિરાણની કટોકટીને કારણે ઓટો સેક્ટરની માંગ તળિયે પહોંચી છે અને ભારતની વપરાશ આધારિત માંગને મોટો ફટકો પડ્યો છે. ત્યારથી DHFL, એસ્સેલ ગ્રૂપ અને અનિલ અંબાણી જૂથની કંપનીઓ દ્વારા ઋણની ચુકવણીની ચિંતામાં વધારો થયો છે.

business news reserve bank of india