20 August, 2019 08:55 PM IST | Mumbai
RBI પુર્વ ગવર્નર રઘુરામ રાજન
Mumbai : ભારતની આર્થિક ધીમી વૃદ્ધિ અંગે RBI ના પુર્વ ગવર્નર રઘુરામ રાજને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકારે વીજ અને નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ સેક્ટર્સ (NBFC)ની તાકીદની સમસ્યાને ઉકેલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને ખાનગી ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવા નવા સુધારા લાવવાની હિમાયત કરી હતી."
GDP ગણવાની પદ્ધતી પર ફેર વિચારણા કરવા રાજનનું સુચન
રઘુરામ રાજને ભારતની GDP ગણવાની પદ્ધતિ અંગે નવેસરથી વિચાર કરવા જણાવ્યું હતું. તેમણે આ મુદ્દે મોદી સરકારના ભૂતપૂર્વ ચીફ ઇકોનોમિસ્ટ અરવિંદ સુબ્રમણિયન્ના વૃદ્ધિદરના વાસ્તવિક કરતાં ઊંચા અંદાજ સંબંધી રિસર્ચને ટાંક્યું હતું. રાજને કહ્યું હતું કે, "ખાનગી ક્ષેત્રની એનાલિસ્ટ્સે આર્થિક વૃદ્ધિના ઘણા અંદાજો રજૂ કર્યા છે અને તેમાંથી ઘણા આંકડા સરકારના અંદાજથી બહુ નીચા છે. મને લાગે છે કે, અર્થતંત્રની ધીમી વૃદ્ધિ ઘણી ચિંતાજનક છે."
GDP 7 ટકા કરતા નીચો રહેવાનો RBI નો અંદાજ
RBIના અંદાજ પ્રમાણે ચાલુ વર્ષે GDP વૃદ્ધિ સરકારના 7 ટકાના અંદાજ કરતાં નીચી રહેશે. ઓટો સેક્ટરમાં બે દાયકાની સૌથી ગંભીર કટોકટી અર્થતંત્રની વૃદ્ધિ વધુ ધીમી પડવાના સંકેત આપે છે. ઓટોમોબાઇલ અને સંલગ્ન ઉદ્યોગમાં હજારો લોકોએ રોજગારી ગુમાવી હોવાના અહેવાલ છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં નહીં વેચાયેલાં મકાનોનો આંકડો ઘણો ઊંચો છે. જ્યારે FMCG કંપનીઓના વોલ્યુમમાં ઘટાડો નોંધાયો છે.
આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો
રઘુરામ રાજને કહ્યું હતું કે, "તમામ બિઝનેસ એક કે બીજા પ્રકારના સ્ટિમ્યુલસની માંગણી કરી રહ્યા છે. હવે અર્થતંત્ર અને વૃદ્ધિદરને પ્રોત્સાહન આપવા નવા આર્થિક સુધારા જરૂરી છે." તેમણે કહ્યું હતું કે, "વૈશ્વિક બજારમાંથી ઋણ મેળવવાનો નિર્ણય આર્થિક સુધારો નહીં, વ્યૂહાત્મક પગલું છે. હવે છૂટાછવાયાં પગલાંથી નહીં ચાલે. અર્થતંત્ર માટે વ્યાપક રિફોર્મ એજન્ડાની જરૂર છે." તેમણે જણાવ્યું હતું કે, 'આપણે ભારતીય અર્થતંત્રમાં કેવી રીતે હાલના વૃદ્ધિદર કરતાં બે-ત્રણ ટકા વધુ વિકાસદર હાંસલ કરી શકીશું તેની સમજણ જરૂરી છે. જેમાં વીજ ક્ષેત્ર, NBFCsની તાકીદની સમસ્યાના ઉકેલનો સમાવેશ થાય છે. ખાસકરીને આપણે અગાઉ લાગુ ન કરાયા હોય એવા સુધારા અમલી બનાવવા જોઈએ."રાજને ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવા નવા આર્થિક સુધારાની હિમાયત કરી હતી.