26 November, 2019 11:53 AM IST | Mumbai
દેવું ચૂકવવામાં નિષ્ફળ ગયા પછી દેશની સૌથી મોટી ઇન્ફ્રા કંપની આઇએલઍન્ડએફએસમાં નાદારીના કાયદા હેઠળ કાર્યવાહી ચાલી રહી છે. આ કેસની સુનાવણી દરમ્યાન સોમવારે નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)ની મુંબઈ બેન્ચે ઍક્સિસ બૅન્ક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બૅન્કના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (સીઈઓ)ને આગામી તારીખે હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
જો બન્ને નિષ્ફળ રહે તો તેમની સામે બિનજામીનપાત્ર વૉરન્ટ બહાર પાડવાની ચેતવણી આપી છે. આ કેસમાં કોર્ટના અનાદરની સુનાવણીમાં ઍક્સિસ બૅન્કના અમિતાભ ચૌધરી અને સ્ટેનચાર્ટના ઝરીન દારૂવાલા વ્યક્તિગત રીતે એક પણ વખત હાજર નહીં રહ્યાં હોવાથી બેન્ચે કડક ભાષામાં તેમને જેલમાં મોકલવાની ચેતવણી આપી છે.
આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો
આ કેસની વિગત અનુસાર ટ્રિબ્યુનલના આદેશ બાદ ફ્રીઝ કરી દેવામાં આવેલાં ખાતાં અને લૉકરમાંથી રકમનો ઉપાડ થયો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ ખાતાં અને લૉકર આઇએલઍન્ડએફએસ ફાઇનૅન્શિયલ સર્વિસના ભૂતપૂર્વ અધ્યક્ષ રમેશ ચન્દ્ર બાવા અને તેમના કુટુંબીજનોના નામે છે. બૅન્કનો દાવો છે કે ટ્રિબ્યુનલ દ્વારા ડિસેમ્બર ૨૦૧૮માં આ ખાતાં ફ્રીઝ કરવાનો ઑર્ડર તેમને મળ્યો એ પહેલાં જ ખાતામાં વ્યવહાર કરવા દેવામાં આવ્યા છે.