મુંબઈની અદાણી ઇલેક્ટ્રિસિટીમાં હવે કતાર સરકારની કંપની ભાગીદાર બની

13 December, 2019 04:32 PM IST  |  Mumbai

મુંબઈની અદાણી ઇલેક્ટ્રિસિટીમાં હવે કતાર સરકારની કંપની ભાગીદાર બની

અદાણી ઇલેક્ટ્રીસીટી

મુંબઈ અને મહારાષ્ટ્રમાં વીજળીનું ઉત્પાદન, વિતરણ અને વેચાણ કરતી અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડમાં ગૌતમ અદાણીએ 25.1 ટકા હિસ્સો વેચવાની આજે જાહેરાત કરી છે. આ હિસ્સો કતાર સરકારના ફન્ડ કતાર ઇન્વેસ્ટમેન્ટ ઑથોરિટી દ્વારા ખરીદવામાં આવી રહ્યો છે. અનિલ અંબાણી પાસેથી ઑગસ્ટ ૨૦૧૮માં સંપૂર્ણ કંપની ખરીદ કરી તેનો એક હિસ્સો વેચવાથી અદાણી જૂથને ત્રણ ગણો ફાયદો થઈ રહ્યો છે. હવે મુંબઈના વીજળીના વપરાશકારોને કતાર સરકારની ભાગીદારીમાં અદાણી વીજળી પૂરી પાડશે.

અનિલ અંબાણી જૂથ પાસેથી ઑગસ્ટ 2018માં મુંબઈના 400 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વીજળીનું ઉત્પાદન, વિતરણ અને વેચાણ કરવા માટે 18,000 કરોડ રૂપિયાના ખર્ચે ખરીદી કર્યા બાદ ગૌતમ અદાણી જૂથની અદાણી ટ્રાન્સમિશને આ બિઝનેસનો 25.1 ટકા હિસ્સો વેચતા અદાણી જૂથને 3200 કરોડ રૂપિયા મળશે એવું કંપનીએ સ્ટૉક એક્સચેન્જને રજૂ કરેલી યાદીમાં જણાવ્યું છે.

અદાણી ટ્રાન્સમિશનનો આ હિસ્સો કતાર સરકારની કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી દ્વારા ખરીદવામાં આવી રહ્યો છે. બન્ને કંપની વચ્ચે એવો કરાર પણ થયો છે કે સાથે મળી વર્ષ 2023 સુધીમાં અદાણી ઈલેક્ટ્રિસિટી જે વીજળી પૂરી પાડે છે તેનો 30 ટકા હિસ્સો સૉલર અને પવન ઊર્જા થકી એકત્ર કરવામાં આવશે.

પ્રશ્ન મોટો એ છે કે કંપનીએ અનિલ અંબાણી પાસેથી જેટલી રકમમાં આ કંપની ખરીદ કરી હતી તેના કરતાં ઓછા મૂલ્યમાં મુંબઈ બિઝનેસનો હિસ્સો વેચવામાં આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. આ કંપનીનો સોદો ૧૮,૦૦૦ કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારમાં થયો હતો અને તેના થકી ૧૩,૬૦૦ કરોડ રૂપિયાનું દેવું અનિલ અંબાણીની કંપનીએ પરત કર્યું હોવાની જાહેરાત થઈ હતી. હકીકતમાં માત્ર કંપની નહીં સમગ્ર વ્યવહારમાં અન્ય પરિબળોના કારણે આટલું મોટું મૂલ્ય આંકવામાં આવી રહ્યું હતું.

વાસ્તવિક રીતે અદાણીને આ સોદામાં જંગી રકમનો ફાયદો થશે અને દેવું ઘટાડવા માટે પણ મદદ મળશે. ઑગસ્ટ ૨૦૧૮ની સ્કીમ અનુસાર રિલાયન્સ ઇન્ફ્રાનો મુંબઈ બિઝનેસ રિલાયન્સ ઇલેક્ટ્રિસિટી જનરેશન અૅન્ડ સપ્લાય લિમિટેડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને અદાણી ટ્રાન્સમિશને આ કંપનીનો ૧૦૦ ટકા હિસ્સો ૩૮૨૭.૫૪ કરોડમાં ખરીદી લીધો હતો. લગભગ ૧૪ મહિનાના ગાળામાં કંપનીએ માત્ર ૨૫.૧ ટકા હિસ્સો વેચી ૩૨૦૦ કરોડ રૂપિયા ઊભા કરી લીધા છે. એટલે જ્યારે કંપની ટ્રાન્સફર થઈ ત્યારે તેનું મૂલ્ય અદાણીએ ૩૮૨૭.૫૪ કરોડ ચૂકવ્યું હતું એના ૨૫.૧ ટકા એટલે ૯૬૦.૭૧ કરોડ રૂપિયા થાય છે. એટલે અદાણી માત્ર ૧૪ મહિનાના ગાળામાં પોતાના રોકાણ સામે ત્રણ ગણો નફો રળી લીધો ગણાય!

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

અત્રે નોંધવું જરૂરી છે કે ખાનગી ક્ષેત્રમાં અદાણી ટ્રાન્સમિશન દેશની સૌથી મોટી વીજળીનું વિતરણ અને પરિવહન કરતી કંપની છે. કંપની ઉપર સપ્ટેમ્બર ૨૦૧૯ના અંતે કુલ ૧૯,૦૦૦ રૂપિયા કરોડ જેટલું દેવું છે. અદાણી જૂથ આ હિસ્સાના વેચાણ થકી પોતાનું દેવું ઘટાડવા માટે પ્રયત્ન કરી રહી હોય એવું માનવામાં આવી રહ્યું છે.

business news