SIP તમારા આર્થિક સ્વાસ્થ્ય માટે લાભકારક છે

31 December, 2018 08:39 AM IST  |  | જયેશ ચિતલિયા

SIP તમારા આર્થિક સ્વાસ્થ્ય માટે લાભકારક છે

પ્રતીકાત્મક તસવીર

મ્યુચ્યુઅલ ફન્ડનો ફન્ડા

રાકેશ ઝુનઝુનવાલાના આ અભિપ્રાયને બહુ જ ગંભીરતાથી પણ લેવામાં આવે છે એ બિગ બુલે તાજેતરમાં મ્યુચ્યુઅલ ફન્ડની વાત કરી હતી. તેમણે મ્યુચ્યુઅલ ફન્ડના સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)ને શ્રેષ્ઠ રોકાણસાધન ગણાવ્યું હતું. તેમના મતે દરેક ભારતીય ઇન્વેસ્ટરે SIPમાં રોકાણ કરવું જ જોઈએ. જોકે તેમની આ સલાહ સાથે એક ચેતવણી અને શિખામણ પણ આપે છે. ઝુનઝુનવાલા કહે છે કે ‘રોકાણકારોએ SIP પાસે વધુ પડતી આશા રાખવી નહીં. વાજબી આશા જ રાખવી અર્થાત SIPમાં તમારાં નાણાં બમણાં થઈ જશે કે ૪૦થી ૪૫ ટકા વળતર મળશે એવી ખોટી અપેક્ષા રાખવી નહીં. બલકે ૧૨થી ૧૩ ટકા વળતરમાં સંતોષ માની લેવામાં સાર રહેશે.’ તેમના મતે રોકાણકારોએ આ મામલામાં ઓવરસ્માર્ટ કે લાલચું થવાથી દૂર રહેવું જોઈએ. આ બિગ બુલ માને છે કે આગામી સમયમાં SIPમાં ભંડોળપ્રવાહ વધતો રહેશે એ નક્કી કહી શકાય.

SIPમાં રોકાણ શેને બદલે?

વાસ્તવમાં રોકાણકારો મ્યુચ્યુઅલ ફન્ડ કે એના આ પ્લાનમાંથી ઇક્વિટી સમાન વળતર મેળવવા આવતા નથી અને એવી આશા રાખવી પણ જોઈએ નહીં. બલકે તેઓ PPF અને ઇન્શ્યૉરન્સ કે બૅન્ક FDના બદલે મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓ પાસે આવતા હોય છે તો પછી તેમણે ૧૩-૧૪થી બહુ-બહુ તો ૧૫ ટકા સુધી વળતર મળી જાય તો પણ સંતોષ માની લેવો જોઈએ જે અન્ય પરંપરાગત કે સરકારી બચત યોજના કરતાં લગભગ બમણું થાય છે.

સારા સમયની આશા

ભારત માટે માત્ર NBFC અને બૅન્કો કાફી નથી, ભારતને વિદેશી રોકાણની મોટેપાયે જરૂર છે. આ પ્રવાહ આવી શકે અને વધી પણ શકે છે. ઝુનઝુનવાલા પોતે મોદી સરકાર પુન: સત્તા પર આવશે એવું માને છે, પરંતુ આપણે અહીં તેમની અંગત માન્યતા ગણીએ તો પણ આગામી સમય માર્કેટ માટે સારો રહેવાની આશા નકારી શકાય નહીં. હા, માર્કેટની ગતિમાં ક્યાંક અવરોધ-રુકાવટ આવી શકે, પણ માર્કેટ માટે એ ટૂંકા ગાળાની અસર હશે. સત્તા પર કોણ આવે છે એના કરતાં સ્થિરતા અને પૉલિસીની સાતત્યતા કેવી રહે છે એ જોવાનું મહત્વ વધુ રહે છે.

વધારો યા જાળવો

આમ તો SIP માટે કોઈ પણ સમય બેસ્ટ જ ગણાય. ખાસ કરીને જો SIP લાંબા ગાળા માટે હોય તો, પરંતુ વર્તમાન સમય આ પ્લાન માટે બેસ્ટમાં બેસ્ટ છે કેમ કે આ સમય રાજકીય ઊથલપાથલનો છે, વૉલેટિલિટીનો અને અનિશ્ચિતતાનો છે જેમાં બજાર સતત વધઘટ કર્યા કરશે. આમાં પ્રાઇસ ઍવરેજનો લાભ વધુ મળી શકે તેમ જ જોખમનું નિયમન વધુ થઈ શકે. રોકાણકારો આ સમયમાં SIP બંધ કરવાનું તો ન જ વિચારે એમાં શાણપણ છે, બાકી જોખમ લેવાની અને હોલ્ડિંગની ક્ષમતા હોય તો SIP વધારવાની અને જાળવવાની હિંમત જરૂર કરી શકાય.

હેલ્થની જેમ વેલ્થ માટે

અતિશયોક્તિ ભલે લાગે, પણ મારા મતે તો જેમ બાળકોને પોલિયોનાં ટીપાં અપાય છે, લોકોની હેલ્થ માટે બ્લડ ચેક કરાય છે, ફિટનેસની ટેસ્ટ થાય છે જેવાં હેલ્થ સંબંધી પગલાં ભરાય છે અને એ ભરવામાં સાર ગણાય છે એમ વેલ્થ માટે દરેકના બૅન્ક-અકાઉન્ટ હોવામાં અને દરેકની લાંબા ગાળાની બચત-રોકાણ સ્વરૂપે SIP હોવામાં સાર્થકતા છે.

આ પણ વાંચો : 2019નું નવું વર્ષ કોઈ પણ સરકાર માટે સ્મૂધ-સેઇલિંગ નહીં હોય

છોટા સા ફન્ડા

માર્કેટ વૉલેટિલિટી સતત ચાલુ રહેશે એવું માનતા નિષ્ણાતો કહે છે કે ‘આમાં નવાઈની વાત નથી. અનિશ્ચિતતા અને વૉલેટિલિટી લગભગ બધા જ દેશોમાં છે. આમાંથી ભારત બાકાત રહી શકે નહીં.

sensex bombay stock exchange national stock exchange