21 March, 2021 05:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
GMD Logo
ગઈ કાલે ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક્સ કમિટી (આઇઓસી)એ અન્ય ચાર નિયામક સંસ્થાઓ સાથે મળીને ટોક્યો ઑલિમ્પિક્સ સંદર્ભમાં મહત્ત્વનો નિર્ણય લીધો હતો, જે મુજબ ટોક્યોમાં ૨૩ જુલાઈથી યોજાનારી ઑલિમ્પિક્સ અને પૅરાલિમ્પિક્સ ગેમ્સમાં વિદેશી પ્રક્ષકોને પ્રવેશ આપવામાં નહીં આવે. કોરોનાને લીધે ગયા વર્ષે યોજાનારી આ ગેમ્સ મોકૂફ રાખવામાં આવી હતી. આઇઓસી સાથે મીટિંગમાં ઇન્ટરનૅશનલ પૅરાલિમ્પિક કમિટી (આઇપીસી), ટોક્યો મેટ્રોપૉલિટન ગવર્નમેન્ટ (ટીએમજી), ટોક્યો ૨૦૨૦ની આયોજક કમિટી તેમ જ જપાન સરકાર જોડાઈ હતી. જે પણ વિદેશી પ્રેક્ષકોએ આ ગેમ્સ માટે ટિકિટ ખરીદી હતી તેમને નાણાં પાછાં આપી દેવામાં આવશે.
ઉક્ત પાંચ સંસ્થાઓએ ૨૦૨૧ની ત્રીજી માર્ચે, માર્ચ મહિનાના અંત સુધી વિદેશી પ્રેક્ષકોને પ્રવેશ આપવો કે નહીં એ વિશેનો અંતિમ નિર્ણય જાહેર કરવા પોતાની મંજૂરી આપી હતી. જપાન સહિત હજી પણ કેટલાક દેશોમાં કોરોનાની સ્થિતિ વકરેલી છે. વળી ઉત્તર જપાનમાં ભૂકંપ અને સુનામીએ પરિસ્થિતિને વધુ ચિંતાજનક બનાવી દીધી છે.
રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આજે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની ફાઇનલમાં ભારત અને શ્રીલંકા લેજન્ડ્સ આમને-સામને થશે. માસ્ટર બ્લાસ્ટ સચિન તેન્ડુલકરના નેતૃત્વમાં ઇન્ડિયા લેજન્ડ્સ ટીમ શાનદાર પ્રદર્શન કરતી આવી છે, જ્યારે શ્રીલંકા લેજન્ડ્સ પણ ઊલટફેર કરવાની ક્ષમતા ધરાવે છે.
ભારતીય ટીમે ૬માંથી માત્ર ૧ મૅચ જે ઇંગ્લૅન્ડ સામે રમાઈ હતી એમાં ૬ રનના માર્જિનથી પરાજય જોવો પડ્યો હતો, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા, બંગલા દેશ અને સાઉથ આફ્રિકાને હરાવીને સેમી ફાઇનલમાં તેમણે વેસ્ટ ઇન્ડીઝને મહાત આપી હતી. સામા પક્ષે શ્રીલંકાએ પણ છમાંથી પાંચ મૅચમાં વિજય મેળવ્યો હતો. શ્રીલંકા એકમાત્ર ઇન્ડિયા સામે રમાયેલી મૅચમાં હાર્યું હતું.
ઇન્ડિયા લેજન્ડ્સમાં સચિન તેન્ડુલકર, વીરેન્દર સેહવાગ, યુવરાજ સિંહ ઘણા સારા ફૉર્મમાં રમી રહ્યા છે, જ્યારે શ્રીલંકા લેજન્ડ્સના તિલકરત્ને દિલશાન અને ઉપુલ થરંગા જેવા પ્લેયરો પણ વિરોધી ટીમને ખાસી ટક્કર આપવાની ક્ષમતા ધરાવે છે.