18 June, 2022 05:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છેત્રીને પુશ્કાશની બરોબરી બદલ મળ્યાં અભિનંદન
ફિફા વર્લ્ડ કપના રૅન્કિંગ્સમાં ભારત છેક ૧૦૬ નંબરે છે, પણ ભારતીય ટીમના કૅપ્ટન સુનીલ છેત્રી ફુટબૉલ જગતમાં છવાઈ ગયો છે. તેણે તાજેતરમાં ૮૪મો ઇન્ટરનૅશનલ ગોલ કરીને સૌથી વધુ ગોલ કરનાર વિશ્વભરના ખેલાડીઓમાં સંયુક્ત રીતે પાંચમા નંબરે આવી ગયો છે. તેણે હંગેરીના ફુટબૉલ-લેજન્ડ ફેરેન્ક પુશ્કાશના ૮૪ ગોલની બરોબરી કરી છે. છેત્રીને ઇંગ્લિશ પ્રીમિયર લીગની ટોટનહૅમ હૉટ્સપર ક્લબે અભિનંદન આપ્યાં છે. છેત્રી હવે લિયોનેલ મેસીના ૮૬ ગોલથી માત્ર બે ડગલાં પાછળ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ૧૧૭ ગોલ સાથે નંબર વન છે. દરમ્યાન ફિફાએ છેત્રી પર ‘સ્પેશ્યલ સિરીઝ’નું શૂટિંગ કર્યું છે જેમાં દિલ્હીમાં છેત્રીના પરિવારના અને અંગત જીવનને લગતી બાબતોને પણ આવરી લેવામાં આવી છે.
આગામી કૉમનવેલ્થ ગેમ્સ માટેની ટેબલ ટેનિસની મહિલા ટીમમાંથી પડતી મૂકવામાં આવતાં જાણીતી ટી. ટી. ખેલાડી અર્ચના કામતે કર્ણાટક હાઈ કોર્ટમાં કેન્દ્ર સરકાર, ટેબલ ટેનિસ ફેડરેશન ઑફ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા તથા એના મેમ્બર્સ વિરુદ્ધ રિટ પિટિશન નોંધાવી છે. અર્ચના પહેલાં દિયા ચિતળેએ દિલ્હી હાઈ કોર્ટમાં ફરિયાદ કરી ત્યાર બાદ કમિટી ઑફ ઍડ્મિનિસ્ટ્રેટર્સે તેનો ટીમમાં સમાવેશ કર્યો હતો. કમિટીએ દિયાને મહિલા ડબલ્સમાં મનિકા બત્રા સાથે મૂકી છે. અગાઉ મનિકા સાથે અર્ચના કામતનું નામ હતું. અર્ચનાના કેસમાં બાવીસમી જૂને સુનાવણી થશે.
૨૦૧૯માં ઇંગ્લૅન્ડે ન્યુ ઝીલૅન્ડ સામે દિલધડક સંજોગોમાં જીતેલા વન-ડેના વર્લ્ડ કપની ટીમનો કૅપ્ટન ઇયોન મૉર્ગન ઑક્ટોબર ૨૦૨૩માં ભારતમાં રમાનારા આગામી વન-ડે વિશ્વકપ સુધી પોતે વન-ડે રમતો હશે કે નહીં એ કહેવું તેને માટે હાલના તબક્કે કઠિન છે. મૉર્ગને યુકેના એક અખબારને કહ્યું કે ‘મારો સૌથી પહેલો આશય આ વર્ષે ઑસ્ટ્રેલિયામાં યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપ માટે ફિટ અને સારા ફૉર્મમાં રહેવાનો છે.’
બૅન્ગલોરમાં ગઈ કાલે પાંચ દિવસીય રણજી સેમી ફાઇનલમાં ચોથા દિવસે ઉત્તર પ્રદેશ સામે મુંબઈએ બીજા દાવમાં યશસ્વી જૈસવાલ (૧૮૧ રન, ૩૭૨ બૉલ, એક સિક્સર, ત્રેવીસ ફોર) અને અરમાન જાફર (૧૨૭ રન, ૨૫૯ બૉલ, બે સિક્સર, પંદર ફોર)ની સદીની મદદથી ચાર વિકેટે ૪૪૯ રન બનાવ્યા હતા. શમ્સ મુલાની ૧૦ અને સરફરાઝ ખાન ૨૩ રન સાથે રમી રહ્યા હતા. એ સાથે મુંબઈના સરસાઈ સાથે ૬૬૨ રન હતા અને આજે ઉત્તર પ્રદેશે તોતિંગ લક્ષ્યાંક સામે પરાજયનો સામનો કરવો પડશે. યશસ્વીએ રણજીની પ્રથમ સદી સહિત ઉપરાઉપરી ત્રણ સદી (ઉત્તરાખંડ સામે બીજા દાવમાં ૧૦૩ અને હવે ઉત્તર પ્રદેશ સામે ૧૦૦ તથા ૧૮૧) ફટકારીને નવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. મુંબઈના બીજા દાવમાં ઉત્તર પ્રદેશના ૯ બોલર્સે બોલિંગ કરી જેમાંથી ૬ને વિકેટ નથી મળી. પહેલા દાવમાં મુંબઈના ૩૯૩ સામે ઉત્તર પ્રદેશના માત્ર ૧૮૦ રન હતા. બૅન્ગલોર નજીક અલુર ખાતેની બીજી સેમી ફાઇનલમાં બેંગાલની ટીમ ૩૫૦ રનના ટાર્ગેટ સામે ૯૬ રનમાં ૪ વિકેટ ગુમાવી બેઠું હોવાથી મધ્ય પ્રદેશ માટે જીત ગઈ કાલે હાથવેંતમાં લાગતી હતી.
ઍન્ટિગામાં વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં ગુરુવારે બંગલાદેશની ટીમને બૅટિંગ મળ્યા પછી ફક્ત ૧૦૩ રનમાં એનો વીંટો વળી ગયો એનું સૌથી મોટું કારણ એ હતું કે એના ૬ બૅટર (મહમુદુલ જૉય, નજમુલ શાન્ટો, મોમિનુલ હક, વિકેટકીપર નુરુલ હસન, મુસ્તફિઝુર રહમાન, ખાલેદ અહમદ) ખાતું ખોલાવતાં પહેલાં જ વિકેટ ગુમાવી બેઠા હતા. ટેસ્ટમાં એક દાવમાં ૬ બૅટર ઝીરો પર આઉટ થયા હોવાના ૭ કિસ્સા બની ગયા છે જેમાંના ત્રણ બનાવ બંગલાદેશના છે. બંગલાદેશની આ પહેલાંની ટેસ્ટ ગયા મહિને શ્રીલંકા સામે રમાઈ હતી જેના પ્રથમ દાવમાં પણ બંગલાદેશના ૬ બૅટરના નામે ઝીરો હતો.
ગુરુવારે બંગલાદેશને ૧૦૩ રનમાં આઉટ કરવામાં જેડન સીલ્સ (૩૩માં ત્રણ), અલ્ઝારી જોસેફ (૩૩માં ત્રણ), કીમાર રૉચ (૨૧માં બે) અને કાઇલ મેયર્સ (૧૦માં બે)નાં યોગદાન હતાં. કૅપ્ટન શાકિબ-અલ-હસને સૌથી વધુ ૫૧ રન અને ઓપનર તમીમ ઇકબાલે ૨૯ રન બનાવ્યા હતા. એ દિવસે ત્યાર પછી વેસ્ટ ઇન્ડીઝે બે વિકેટે ૯૫ રન બનાવીને બંગલાદેશ સામે મોટી સરસાઈ લેવાની દિશામાં આગેકૂચ કરી હતી.