09 May, 2021 03:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવીન્દર પાલ સિંહ
ભૂતપૂર્વ હૉકી ખેલાડી અને ૧૯૮૦ મૉસ્કો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય હૉકી ટીમના મેમ્બર રવીન્દર પાલ સિંહનું ગઈ કાલે સવારે લખનઉમાં કોરોનાને લીધે મૃત્યુ થયું હતું. ૬૦ વર્ષના રવીન્દર પાલને કોરોના થતાં ૨૪ એપ્રિલે લખનઉની વિવેકાનંદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફૅમિલીએ જણાવ્યા મુજબ રવીન્દર પાલ કોરોનાને મહાત આપીને સાજા થઈ ગયા હતા અને તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ નૉન-કોવિડ વૉર્ડમાં શિફ્ટ પણ કરવામાં આવ્યા હતા, પણ શુક્રવારે અચાનક તેમની તબિયત લથડતાં તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા.
રવીન્દર પાલે ૧૯૮૦ અને ૧૯૮૪ એમ બે ઑલિમ્પિક્સ ઉપરાંત ૧૯૭૯માં જુનિયર વર્લ્ડ કપ, ૧૯૮૦ તેમ જ ૧૯૮૩માં ચૅમ્પિયન્સ ટ્રોફી, ૧૯૮૩માં હૉન્ગકૉન્ગમાં સિલ્વર જ્યુબિલી ૧૦-નેશન કપ, ૧૯૮૨માં વર્લ્ડ કપ અને ૧૯૮૨માં એશિયા કપમાં ભારતનું પ્રતિનિધત્વ કર્યું હતું. રવીન્દર પાલે લગ્ન નહોતાં કર્યાં.