ઝહીર ખાને T20માંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ : બલવિન્દર

04 October, 2012 06:00 AM IST  | 

ઝહીર ખાને T20માંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ : બલવિન્દર



હરિત એન. જોશી

મુંબઈ, તા. ૪

રવિવારે ૩૪ વર્ષ પૂરાં કરી રહેલો ઝહીર ખાન એક દાયકાથી ભારતીય પેસઆક્રમણનું નેતૃત્વ સંભાળી રહ્યો છે, પરંતુ હવે તેણે T20 ઇન્ટરનૅશનલ્સમાંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ અને વન-ડે તથા ટેસ્ટ પર વધુ ધ્યાન આપવું જોઈએ એવું ભૂતપૂર્વ સ્વિંગ બોલર બલવિન્દર સિંહ સંધુનું માનવું છે.ઝહીર વર્લ્ડ કપની ચારમાંથી પ્રથમ ત્રણ મૅચમાં વિકેટ નહોતો લઈ શક્યો અને છેલ્લે સાઉથ આફ્રિકા સામે ત્રણ શિકાર કર્યા હતા. સંધુએ ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મને ખાતરી છે કે ઝહીર મારા સૂચન પર ગંભીરતાથી વિચારશે.

બીજા ભૂતપૂર્વ પ્લેયરોએ ટીમ ઇન્ડિયા વિશે શું કહ્યું?

ભારત ૨૦૦૭માં T20 વર્લ્ડ કપનું ચૅમ્પિયન થયા પછી મંગળવારે સતત ત્રીજા વિશ્વકપની સેમી ફાઇનલમાં પ્રવેશવામાં નિષ્ફળ રહ્યું એટલે ભૂતપૂર્વ ક્રિકેટરો ગઈ કાલે ધોની અને તેના ધુરંધરો પર તૂટી પડ્યા હતા.

સુનીલ ગાવસકર : ટીમના ખરાબ પર્ફોમન્સ વિશે તપાસ કરવાની મને કોઈ જરૂર નથી લાગતી. કૅપ્ટનપદેથી ધોનીને હટાવવાની પણ કોઈ આવશ્યકતા નથી.

દિલીપ વેન્ગસરકર : T20ના ફૉર્મેટમાં નસીબ વધુ કામ કરી જતું હોય છે અને મને લાગે છે કે વર્લ્ડ કપમાં લક ભારતની તરફેણમાં નહોતો.

ચેતન શર્મા : આખી ટીમ પર દોષ મૂકવાની કોઈ જરૂર નથી. માત્ર ધોનીને દોષી ગણો. તેણે પોતે વર્લ્ડ કપમાંથી ભારતની વહેલી બાદબાકી થવા બદલ જવાબદારી સ્વીકારી લેવી જોઈએ

પાટીલ ઍન્ડ કંપની પર બોજ

સંદીપ પાટીલ અને તેમની નવી સિલેક્શન કમિટી સેહવાગ અને ઝહીરની ઇંગ્લૅન્ડ સામેની T20 સિરીઝમાંથી કદાચ બાદબાકી કરશે