04 December, 2020 05:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્યઃ બીસીસીઆઈનું ટ્વીટર અકાઉન્ટ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કેનબરા ખાતે ચાલતી ત્રણ T-20 સિરીઝની પહેલી મેચમાં રવીન્દ્ર જાડેજાના કન્કશન સબ્સ્ટિટયૂટ તરીકે યુઝવેન્દ્ર ચહલ મેદાનમાં આવ્યો છે. જાડેજાને ભારતીય ઇનિંગ્સની 20મી ઓવરમાં મિચેલ સ્ટાર્કે નાખેલો બીજો બોલ માથે વાગ્યો હતો, તેથી સાવચેતી રૂપે તેની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલ મેદાનમાં આવ્યો છે, ચહલ જે પ્લેઈંગ-11નો ભાગ નહોતો, તે હવે બોલિંગ પણ કરી શકશે.
ગયા વર્ષે ઓગસ્ટ 2019માં ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમનાર એશિઝમાં સબ્સ્ટિટયૂટ ખેલાડીઓ સંબંધિત એક નવો નિયમ લાગુ પડ્યો હતો. કન્કશન ઇન્જરી થઇ હોય તો નવો ખેલાડી તેને રિપ્લેસ કરી શકે છે. માથામાં વાગ્યું હોય તે ઇજાને કન્કશન કહેવામાં આવે છે. જો કોઈને માથામાં વાગ્યું હોય તો નવા નિયમ મુજબ ટીમ તે ખેલાડીને રિપ્લેસ કરી શકે છે.
આ નિયમમાં અંતર્ગત જો કોઈ બોલર ઇજાગ્રસ્ત થયો હોય તો બોલર જ તેને રિપ્લેસ કરી શકશે. ક્રિકેટની ભાષામાં તેને 'લાઈક ટુ લાઈક' રિપ્લેસમેન્ટ કહેવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેન્ગરે જાડેજાના કન્કશન રિપ્લેસમેન્ટ તરીકે ચહલ આવતાં વાંધો ઉઠાવ્યો, કારણકે જાડેજા ઓફ-સ્પિનર છે, જ્યારે ચહલ લેગ-સ્પિનર છે અને કન્કશનના નિયમ મુજબ 'લાઈક ટુ લાઈક' રિપ્લેસમેન્ટની જ છૂટ આપી શકાય છે તેમજ જો જાડેજાની ઇજા સિરિયસ હતી તો ગ્રાઉન્ડ પર અંતિમ 4 બોલ પહેલાં તેનો કન્કશન ટેસ્ટ કરવામાં આવ્યો કેમ નહોતો?