કુંબલેએ કહ્યું હતું કે તારે પહેલી ટેસ્ટમાં 5 વિકેટ લેવાની છે: કુલદીપ

03 May, 2020 01:11 PM IST  |  New Delhi | Agencies

કુંબલેએ કહ્યું હતું કે તારે પહેલી ટેસ્ટમાં 5 વિકેટ લેવાની છે: કુલદીપ

કુલદીપ યાદવ

ભારતીય ક્રિકેટ ટીમમાં કુલદીપ યાદવ એક મહત્વનો બોલર છે. તાજેતરમાં તેણે અનિલ કુંબલે સાથે જોડાયેલો પોતાનો એક કિસ્સો જાહેર કર્યો હતો, જેમાં કુંબલેએ તેને સલાહ આપી હતી. કુલદીપે ધર્મશાલામાં ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ-ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. આ મૅચના એક દિવસ પહેલાં કુંબલેએ આપેલી સલાહ વિશે કુલદીપે કહ્યું હતું કે ‘હું ધર્મશાલામાં મારા ટેસ્ટ ડેબ્યુને યાદ કરું છું ત્યારે ઘણો ઇમોશનલ બની જાઉં છું. મારા માટે સૌથી મહત્ત્વનું હતું કે હું કઈ રીતે પર્ફોર્મ કરી શકીશ. મને યાદ છે કે મૅચના એક દિવસ પહેલાં અનિલસર મારી પાસે આવ્યા હતા અને તેમણે મને કહ્યું હતું કે તારે આવતી કાલે રમવાનું છે અને પાંચ વિકેટ લેવાની છે. એ સમયે તો થોડી સેકન્ડ માટે હું અચકાઈ ગયો હતો, પણ તેમને જવાબ આપતાં મેં કહ્યું હતું, હા સર, ચોક્કસ. હું પાંચ વિકેટ લઈશ. લક્ષ્મણ શિવરામાકૃષ્ણનસરે મને ટેસ્ટ-કૅપ આપી હતી. એ વખતે તેમણે મને સલાહ પણ આપી હતી જે આજે ભૂલી ચૂક્યો છું, કારણ કે એ વખતે હું સાવ બ્લૅન્ક હતો. ખરું કહું તો હું ઘણો પ્રેશર અનુભવી રહ્યો હતો અને હું ઘણો નર્વસ પણ હતો. મને લાગતું હતું કે આ ઘણું મોટું પ્લૅટફૉર્મ છે અને હું અહીં કઈ રીતે પર્ફોર્મ કરી શકીશ. લંચ પહેલાં જ્યારે મેં કેટલીક ઓવર નાખી ત્યારે મને થોડું રિલૅક્સ ફીલ થયું હતું. પછીથી મેં નક્કી કર્યું કે હું રણજી ટ્રોફી મૅચની જેમ રમીશ. ક્રિકેટ હંમેશાં મારા દિલની નજીક રહ્યું છે. હું હંમેશાં મારા કોચનું અને કૅપ્ટનનું સાંભળું છું અને એને કારણે જ ઘણી વાર મને ધોની પાસેથી પણ ઘણું શીખવા મળ્યું છે.’

Kuldeep Yadav anil kumble cricket news sports news