21 July, 2019 11:29 PM IST | Mumbai
ભારતીય ક્રિકેટર રિદ્ધીમાન સહા
Mumbai : વેસ્ટ ઇન્ડિઝ સામેના પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે રવિવારે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી હતી. જેમાં બોર્ડના પસંદગીકાર એમ.એસ.કે. પ્રસાદ, સુકાની વિરાટ કોહલી અને તેની ટીમ વચ્ચે થયેલી બેઠક બાદ ત્રણેય ફોર્મેટ માટે અલગ અલગ ટીમ જાહેર કરવામાં આવી હતી. મહત્વનું છે કે ટેસ્ટ ટીમમાં યુવા વિકેટ કીપર રિષભ પંત અને રિદ્ધિમાન સહા એમ બે કીપરોને ટીમમાં સ્થાન આપ્યું છે.
ટેસ્ટ ટીમમાં 1.5 વર્ષ બાદ રિદ્ધિમાન સહાની વાપસી
મહત્વનું છે કે ટેસ્ટ ટીમમાં દોઢ વર્ષ બાદ વાપસી કરનારા વિકેટકિપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાને કરિયર બચાવવાનો મોકો મળ્યો છે. સાહા અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ જાન્યુઆરી 2018માં રમ્યો હતો. સાહાને ખભામાં ઈજા થઈ હતી. જે બાદ તે સાઉથ આફ્રિકા સામેની શ્રેણી રમ્યો નહોતો. બાદમાં બીસીસીઆઈએ સાહાની સારવાર કરાવી હતી અને તે ફિટ થઈ ગયો હતો. જે બાદ તેણે આઈપીએલમાં કમબેક કર્યું અને એક-બે મેચમાં સરેરાશ દેખાવ કર્યો હતો. પરંતુ ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરીને તેણે પસંદગીકર્તાનો ભરોસો જીત્યો અને વાપસી કરી.
સાહા ઉપરાંત વિકેટકિપર બેટ્સમેનની રેસમાં યુવા ચહેરા તરીકે કેએસ ભરત હતો. મુખ્ય પસંદગીકર્તા એમએસકે પ્રસાદે સ્વીકાર્યું કે ભરત ટેસ્ટ ટીમમાં પસંદ થવાને ઘણો નજીક હતો પરંતુ સાહાને વાપસીનો મોકો આપવા ભરતને ટીમમાં સામેલ કરવો શક્ય નહોતો. આ સ્થિતિમાં 34 વર્ષીય સાહા પાસે કરિયર બચાવવાનો અંતિમ મોકો છે.
આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ
સાહાએ 32 ટેસ્ટમાં 46 ઈનિંગમાં 30.63ની સરેરાશથી 1164 રન બનાવ્યા છે. જેમાં ત્રણ સદી અને પાંચ અડધી સદી સામેલ છે. તેનો સર્વોચ્ચ સ્કોર 117 રન છે. આ ઉપરાંત 85 શિકાર પણ કર્યા છે, જેમાં તેણે 75 કેચ અને 10 સ્ટપિંગ પણ કર્યા છે. જ્યારે બીજી તરફ 21 વર્ષીય રિષભ પંતે 9 ટેસ્ટમાં 696 રન બનાવ્યા છે. જેમાં તેણે બે સદી ફટકારી છે.