14 February, 2019 02:18 PM IST |
વિહારીની જેમ પ્રસાદને પણ ૧૯૯૯માં આવી જવાબદારી આપવામાં આવી હતી, પરંતુ તે બ્રૅટ લીનો સામનો કરી શક્યો નહોતો
કમિટીના અધ્યક્ષ એમએસકે પ્રસાદે આશ્વાસન આપ્યું હતું કે જો તે નવી જવાબદારી લેવામાં નિષ્ફળ રહ્યો તો પણ તેને મિડલ ઑર્ડરમાં પૂરતી તક મળશે. લોકેશ રાહુલ અને મુરલી વિજય નિષ્ફળ ગયા બાદ ટીમ-મૅનેજમેન્ટે ડેબ્યુ કરી રહેલા મયંક અગરવાલ સાથે હનુમા વિહારીને ઓપનર તરીકે પસંદ કર્યા છે. પ્રસાદને પૂછવામાં આવ્યું કે ‘વિહારી માટે આ ખરાબ નહીં હોય, કારણ કે તે હજી સુધી માત્ર બે જ ટેસ્ટ રમ્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ તે નિયમિત રીતે ઓપનિંગ નથી કરતો.’ એના જવાબમાં પ્રસાદે કહ્યું હતું કે ‘જો તે બે ટેસ્ટમાં ઓપનર તરીકે નિષ્ફળ પણ જાય તો તેને મિડલ ઑર્ડરમાં પૂરતી તક મળશે.’
વિહારીની જેમ પ્રસાદને પણ ૧૯૯૯માં આવી જવાબદારી આપવામાં આવી હતી, પરંતુ તે બ્રૅટ લીનો સામનો કરી શક્યો નહોતો. પ્રસાદે કહ્યું હતું કે ‘મને હંમેશાં લાગે છે કે ૧૯૯૯માં મારા માટે તક હતી જેમાં હું સફળ રહ્યો નહોતો. જોકે રોહિતની સરખામણીમાં વિહારી આ સ્થાન પર વધુ સક્ષમ છે. તેની ટૅક્નિક યોગ્ય છે.’
ડોમેસ્ટિક ક્રિકેટમાં આંધ્ર માટે રમનાર વિહારીને નજીકથી જોનાર પ્રસાદે કહ્યું હતું કે ‘તેની પાસે કૂકાબુરા બૉલનો સામનો કરવા માટે સારી ટૅક્નિક છે. ટીમની જરૂરિયાત મુજબ ચેતેશ્વર પુજારાએ પણ ઓપનિંગ કરી હતી.’
મયંક અગરવાલ વિશે પ્રસાદે કહ્યું હતું કે ‘અમે મયંકને એટલા માટે બોલાવ્યો છે કે તે સારા ફૉર્મમાં છે. તેણે ઇન્ડિયા-એ સિરીઝમાં સારું પ્રદર્શન કર્યું છે. મુરલી અને લોકેશ સારું પ્રદર્શન ન કરતાં તેમને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા.’