10 August, 2020 07:20 PM IST | Manchester | IANS
વસીમ અકરમ
પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મૅચ અત્યંત રોચક રીતે યજમાન ટીમે ત્રણ વિકેટથી જીતી લીધી હતી. જોકે પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન વસીમ અકરમનું માનવું છે કે અઝહર અલીએ કેટલીક ટ્રિક ચૂકી ગયો હતો, જેને કારણે તેમણે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ક્રિસ વૉક્સ અને જોસ બટલરની જોડીએ પાકિસ્તાનના હાથમાંથી વિજય છીનવી લીધો હતો. આ બન્ને પ્લેયરોએ મળીને સાતમી વિકેટ માટે ૧૩૯ રનની પાર્ટનરશિપ કરી હતી. પોતાનો મત પ્રગટ કરતાં વસીમ અકરમે કહ્યું કે ‘પાકિસ્તાન ટીમને અને પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીઓને પરાજયથી ઘણું દુઃખ થયું હશે. હાર અને જીત તો ક્રિકેટનો એક ભાગ છે, પણ મારા ખ્યાલથી કૅપ્ટને મૅચ દરમ્યાન કેટલીક ટ્રિક ચૂકી ગયો હતો. વૉક્સ જ્યારે મેદાનમાં આવ્યો ત્યારે એકેય બાઉન્સર કે શૉર્ટ ડિલિવરી નાખવામાં નહોતી આવી. પાકિસ્તાનની ટીમે તેમને સેટ થવા દીધા, જેને કારણે તેઓ સરળતાથી રન બનાવી શક્યા. એક વાર જો પાર્ટનરશિપ બનવા માંડે તો એને અટકાવવી અઘરી બની જાય છે; પછી પિચ પર ટર્ન કામ નથી કરતું, સ્વિંગ કામ નથી કરતું અને એ જ કારણથી વૉક્સ અને બટલર હાથમાંથી વિજય છીનવીને લઈ ગયા.’ ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાનની ટેસ્ટ મૅચની સિરીઝમાં યજમાન ટીમે ૧-૦ લીડ લઈ લીધી છે. બીજી ટેસ્ટ મૅચ ૧૩ ઑગસ્ટથી સાઉધમ્પ્ટનમાં રમાશે.