22 August, 2012 08:57 AM IST |
લક્ષ્મણના ઘરઆંગણે રમાનારી પહેલી ટેસ્ટની ટીકીટોનું વેચાણ એકદમ તળીયે રહેવા પામ્યું હતું.
હૈદરાબાદ ક્રિકેટ એશોસિએશન સાથે સંકળાયેલા ગેરાર્ડ કારે જણાવ્યું હતું કે 39000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા રાજીવ ગાંધી સ્ટેડિયમમાં માત્ર 2500 ટીકીટો જ વેચાઈ છે. 7 થી 10 પ્રશંસકો આવશે તેવી અમને આશા હતી, પરંતુ વેરી વેરી સ્પેશિયલ વીવીએસ લક્ષ્મણે સન્યાસની જાહેરાત કરતા ટીકીટના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. દિવસે દિવસે ટેસ્ટ પ્રસંશકોની સંખ્યા ઘટી રહી છે ત્યારે લક્ષ્મણને અંતિમવાર રમતો જોવા લોકો ભારે સંખ્યામાં ઉમટી પડશે તેવી આશા હતી, પરંતુ તેના પર પાણી ફરી વળ્યું છે. કારે જણાવ્યું હતું છેલ્લા પાંચ દિવસમાં માત્ર 10 લાખ રૂપિયાની જ ટીકીટો વેચાઈ છે. જોકે તેમાં ઓનલાઈન બુકિંગનો સમાવેશ થતો નથી.
હૈદરાબાદ ક્રિકેટ એશોસિએશનના અધિકારીઓ પણ લક્ષ્મણની અણધારી નિવૃત્તિ પર નિરાશા વ્યક્ત કરી ચુક્યા છે. પીચ ક્યુરેટર વાઈ એલ ચંદ્રશેખર પણ લક્ષ્મનની વિદાયને લઈને ભાવુક બની ગયો હતો.
આવતી કાલે હૈદરાબાદ ખાતે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. લોકો લક્ષ્મણને અંતિમવાર તેના ઘરઆંગણે રમતો જોવા આતુર હતાં. પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ જશે તેવી બોર્ડની ધારણા હતી. પરંતુ કોઈ કારણોસર લક્ષ્મણે અચાનક જ ક્રિકેટને અલવીદા કહી દેતા તેના ચાહકોને ભારે આઘાત લાગ્યો હતો અને સ્ટેડિયમમાં જઈને મેચ નિહાળવાનો જાણે જ વિચાર જ માંડી વાળ્યો હોય તેમ લાગી રહ્યું છે.