24 December, 2019 11:11 AM IST | Mumbai
વિરાટ કોહલી અને રોહિત શર્મા
(આઇ.એ.એન.એસ.) આઇસીસીએ જાહેર કરેલી વન-ડે પ્લેયરોની રૅન્કિંગમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા ટૉપ પર છે. આ બન્ને પ્લેયરો અનુક્રમે 887 અને 873 પૉઇન્ટ્સ સાથે પહેલા અને બીજા ક્રમે છે. ઓપનર તરીકે રોહિતે રવિવારે સનથ જયસૂર્યાનો એક કૅલેન્ડર વર્ષમાં સૌથી વધારે રન કરવાનો ૨૨ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. વળી વિરાટ કોહલીએ ત્રીજી વન-ડેમાં ૮૫ રનની પારી રમી એક કૅલેન્ડર વર્ષમાં દરેક ફૉર્મેટમાં મળીને કુલ ૨૪૫૫ રન બનાવ્યા હતા. આ બન્ને દિગ્ગજ પ્લેયરો સહિત લોકેશ રાહુલ અને શ્રેયસ અય્યરને પણ આઇસીસી રૅન્કિંગમાં ફાયદો મળ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ પ્લેયર શાઇ હૉપ પણ ટૉપ ૧૦મા સામેલ થયો છે.
શ્રીલંકા, ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં કમબૅક કરશે બુમરાહ-ધવન
શ્રીલંકા અને ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ દ્વારા જસપ્રીત બુમરાહ અને શિખર ધવન ફરી ટીમમાં કમબૅક કરી રહ્યા છે. વેસ્ટ ઇન્ડીઝને ઘરઆંગણે વન-ડે સિરીઝમાં ૨-૧થી માત આપ્યા બાદ ઇન્ડિયન ટીમ હવે શ્રીલંકા સામે પાંચ જાન્યુઆરીથી ત્રણ ટી૨૦ મૅચોની સિરીઝ રમશે. આ ટી૨૦ સિરીઝમાં હિટમૅન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને બૅટ્સમૅન ગબ્બર એટલે કે શિખર ધવન કમબૅક કરશે. આ ટી૨૦ સિરીઝમાં રોહિત સહિત મોહમ્મદ શમીને પણ આરામ આપવામાં આવ્યો છે. શ્રીલંકા સામેની સિરીઝ બાદ ભારત ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામે વન-ડે મૅચની સિરીઝ રમશે.