18 September, 2022 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝુલન ગોસ્વામીને જીત સાથે વિદાય આપવા માગશે ટીમ ઇન્ડિયા
ટી૨૦ ક્રિકેટમાં ખરાબ પ્રદર્શન કરનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જો અનુભવી ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીને જીત સાથે વિદાય આપવી હશે તો એણે ઇંગ્લૅન્ડ સામે આજથી હોવમાં શરૂ થનારી ત્રણ વન-ડે મૅચની સિરીઝના દરેક ડિપાર્ટમેન્ટમાં સારું પ્રદર્શન કરવું પડશે. ભારત માટે ટી૨૦ સિરીઝ સારી નહોતી રહી, જેમાં તેણે બૅટિંગ અને ફીલ્ડિંગમાં દાટ વાળ્યો હતો. ઇંગ્લૅન્ડની ઈજાગ્રસ્ત કૅપ્ટન હીથર નાઇટ સહિત ત્રણ ખેલાડીઓ આ સિરીઝમાં નથી રમી રહી. પરિણામે ભારત પાસે ઇંગ્લૅન્ડને એની જ ધરતી પર હરાવવાની સારી તક છે.
ઝુલન આ સિરીઝ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેશે. તે આ સિરીઝને યાદગાર બનાવવાનો પ્રયાસ કરશે, પરંતુ ભારતની અન્ય ફાસ્ટ બોલર પ્રભાવશાળી પ્રદર્શન કરવામાં અસફળ રહી છે. તાજેતરમાં રેણુકા સિંહે થોડી આશા જન્માવી છે, પરંતુ ભારત હજી પણ સ્પિનરો પર વધુ નિર્ભર છે.