13 October, 2021 06:58 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
શાર્દુલ ઠાકુર
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટી 20 વર્લ્ડ કપ માટે ટીમમાં કેટલાક ફેરફાર કર્યા છે. અક્ષર પટેલની જગ્યાએ ઝડપી બોલર શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે જ સમયે, અક્ષરને શાર્દુલની જગ્યાએ સ્ટેન્ડ-બાય ખેલાડીઓની યાદીમાં મોકલવામાં આવ્યો છે.
મુખ્ય પસંદગી સમિતિએ બુધવારે આની જાહેરાત કરી હતી. પસંદગીકારોએ ગયા મહિને 9 સપ્ટેમ્બરે ટી 20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી હતી. જેમાં 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. જોકે, ત્યાર બાદની આઈપીએલમાં કેટલાક ખેલાડીઓનું ફોર્મ ચિંતાનો વિષય હતો. તેને જોતા આ ફેરફારો કરવામાં આવ્યા છે.
માનવામાં આવે છે કે શાર્દુલને હાર્દિકના કવર તરીકે લાવવામાં આવ્યો છે. હાર્દિક લાંબા સમયથી બોલિંગ કરી રહ્યો નથી. તેને માત્ર બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જો કે રોહિત શર્માએ કહ્યું છે કે હાર્દિક ટૂંક સમયમાં બોલિંગ શરૂ કરશે, પરંતુ અત્યાર સુધી તે ફિટ રહ્યો નથી. આવી સ્થિતિમાં શાર્દુલને તેના સ્થાને સામેલ કરી શકાય છે. બોલિંગની સાથે શાર્દુલ પણ આક્રમક બેટિંગ કરી શકે છે.
આવી સ્થિતિમાં શાર્દુલને પ્લેઇંગ -11 માં સામેલ કરી શકાય છે. બોલિંગની સાથે શાર્દુલ પણ આક્રમક બેટિંગ કરી શકે છે. તેણે આઈપીએલ 2021 માં 15 મેચમાં 8.75 ના ઈકોનોમી રેટ પર 18 વિકેટ લીધી છે. શાર્દુલે અત્યાર સુધી IPL માં 60 મેચમાં 64 વિકેટ લીધી છે.
શાર્દુલ ભારત માટે અત્યાર સુધી ચાર ટેસ્ટ, 15 વનડે અને 21 ટી 20 રમ્યો છે. તેણે ટેસ્ટમાં 14 વિકેટ, વનડેમાં 22 અને ટી -20 માં 31 વિકેટ લીધી છે. આ સિવાય, બેટિંગમાં, શાર્દુલે ટેસ્ટમાં 38 ની સરેરાશથી 190 રન, વનડેમાં 21.4 ની સરેરાશથી 107 રન અને ટી -20 માં 34.5 ની સરેરાશથી 69 રન બનાવ્યા છે.
ટી 20 વર્લ્ડ કપ ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (wk), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.
સ્ટેન્ડબાય ખેલાડીઓ: શ્રેયસ ઐયર, દીપક ચાહર, અક્ષર પટેલ
ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાએ યુએઈ અને ઓમાનમાં યોજાનારા આઈસીસી ટી 20 વર્લ્ડ કપ પહેલા પોતાની નવી જર્સી આજે લોન્ચ કરી છે. BCCI એ ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી.