પાકિસ્તાન ભલે મેદાનમાં ન ઊતરે, ભારતીય કૅપ્ટન ટૉસ માટે આવશે ત્યારે જ વૉકઓવર મળશે ટીમ ઇન્ડિયાને

03 February, 2026 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ICC પ્રોટોકૉલનું પાલન કરવા ભારતીય ટીમ શ્રીલંકા જશે

ભારતીય T20 ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવની ફાઇલ તસવીર

પાકિસ્તાન સરકાર દ્વારા ભારત સામેની T20 વર્લ્ડ કપ ગ્રુપ-સ્ટેજ મૅચ ન રમવાની જાહેરાત વચ્ચે ભારતીય ટીમ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પ્રોટોકૉલનું પાલન કરીને શ્રીલંકા જશે. શ્રીલંકામાં બધી વર્લ્ડ કપ મૅચ રમવા જનારી પાકિસ્તાની ટીમ ભલે ૧૫ ફેબ્રુઆરીએ હોટેલના રૂમમાં રહેશે, પણ ભારતીય પ્લેયર્સ સામાન્ય મૅચ જેવાં તમામ રૂટીન ફૉલો કરશે.

અહેવાલો અનુસાર કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં મૅચ પહેલાં ભારતીય ટીમ ICC પ્રોટોકૉલનું પાલન કરવા અને શ્રીલંકા જવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ટીમ શેડ્યુલ મુજબ પ્રૅક્ટિસ કરશે, પ્રેસ-કૉન્ફરન્સ કરશે અને મૅચ-રેફરી મૅચ રદ કરે એની રાહ જોશે.

ભારતીય ટીમને આગામી વર્લ્ડ કપમાં પોતાની એકમાત્ર પાકિસ્તાન સામેની ગ્રુપ-સ્ટેજ મૅચ રમવા શ્રીલંકા જવાનું છે. પાકિસ્તાન દ્વારા ભારત T20 વર્લ્ડ કપ મૅચનો બહિષ્કાર કરવા છતાં ભારતીય ટીમે શ્રીલંકા જવું પડશે. ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવને વૉકઓવર મેળવવા માટે ટૉસ માટે મેદાનમાં ઊતરવું પડશે. જો પાકિસ્તાનના કૅપ્ટન સલમાન અલી આગા મેદાનમાં નહીં આવે તો રેફરી ભારતને વૉકઓવર અને મૅચના બે પૉઇન્ટ આપશે. જો ભારત મુસાફરી નહીં કરે તો રેફરી બન્ને ટીમોને એક-એક પૉઇન્ટ આપશે.

ક્રિકેટ બોર્ડના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું કે...

ICCએ ભારત સામેની મૅચ માટે પાકિસ્તાન સરકારના નિર્ણયના મુદ્દા પર કડક નિવેદન જાહેર કર્યું છે. અમે ICC સાથે સંપૂર્ણપણે સંમત છીએ. જ્યાં સુધી અમે ICC સાથે વાત નહીં કરીએ ત્યાં સુધી ક્રિકેટ બોર્ડ કોઈ કમેન્ટ કરશે નહીં. 

પાકિસ્તાનના નખરાને કારણે વર્લ્ડ ક્રિકેટને ૨૩૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે

પાકિસ્તાનના બહિષ્કારના નાટકથી વર્લ્ડ ક્રિકેટને ૨૩૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થાય એવા ચોંકાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે. દરેક ICC ઇવેન્ટમાં ભારત-પાકિસ્તાનની મૅચને લઈને સ્ટેડિયમ, ટીવી અને સોશ્યલ મીડિયા પર ભારે ભીડ અને સક્રિયતા જોવા મળે છે. આખા વિશ્વનું ધ્યાન આ મૅચ પર હોવાથી મોટા પ્રમાણમાં લોકોને પોતાની બ્રૅન્ડતરફી આકર્ષિત કરવા કંપનીઓ ટીમ, ટુર્નામેન્ટ અને અન્ય વસ્તુઓ માટે મોટી સ્પૉન્સરશિપ ડીલ કરતી હોય છે.

પાકિસ્તાનના મૅચના બહિષ્કારને કારણે બ્રૉડકાસ્ટર્સને સૌથી મોટું નુકસાન થશે જેઓ જાહેરાતના સ્લૉટ્સ બુક કરી ચૂક્યા છે. અન્ય મૅચની સરખામણીમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચમાં આવતી જાહેરાતો માટે બ્રૉડકાસ્ટર્સ મોટી રકમ વસૂલ કરે છે. અહેવાલો અનુસાર આ મૅચ માટે ૧૦ સેકન્ડની જાહેરાતના સ્લૉટનો ખર્ચ ૪૦ લાખ રૂપિયા સુધીનો હોઈ શકે છે. મૅચ ન થવાથી બ્રૉડકાસ્ટર્સને અપેક્ષા અનુસાર સ્પૉન્સર્સ અને જાહેરાત આપનાર તરફથી પૈસા નહીં મળશે. આ નુકસાન બદલ બ્રૉડકાસ્ટર્સ PCB વિરુદ્ધ કેસ પણ કરી શકે છે. ICC PCB પર નાણાકીય દંડ લાદવાનો અધિકાર અનામત રાખે છે.

t20 world cup pakistan india indian cricket team team india sri lanka international cricket council board of control for cricket in india cricket news sports sports news world t20 t20 international t20 wt20