સ્વસ્થ અને સુરક્ષિત હશે ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન

13 November, 2020 04:14 PM IST  |  Dubai | PTI

સ્વસ્થ અને સુરક્ષિત હશે ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન

જય શાહ

આવતા વર્ષે ટી૨૦ વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે. ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે આ બાબતે આશ્વાસન આપતાં જણાવ્યું છે કે આ વૈશ્વિક ઇવેન્ટના આયોજનમાં ભારતીય ક્રિકેટ બોર્ડ કોઈ પણ પ્રકારની કસર બાકી નહીં રાખે અને સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણમાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે.
વાસ્તવમાં આ વર્ષે ઑક્ટોબર-નવેમ્બર મહિનામાં ઑસ્ટ્રેલિયામાં આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપ યોજાવાનો હતો, પણ કોરોના મહાબીમારીને કારણે અેને ૨૦૨૨માં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે શેડ્યુલ પ્રમાણે જ વર્લ્ડ કપ ૨૦૨૧નું એડિશનનું આયોજન ભારતમાં થવાનું છે.
આ મેગા ઇવેન્ટના આયોજનના મુદ્દે વાત કરતાં જય શાહે કહ્યું કે ‘આ વર્લ્ડ લેવલની ઇવેન્ટના આયોજનમાં ભારતીય ક્રિકેટ બોર્ડ કોઈ પણ પ્રકારની કસર બાકી નહીં રાખે અને સ્વસ્થ તેમ જ સુરક્ષિત વાતાવરણમાં એનું આયોજન કરશે. હું આઇસીસી અને મેમ્બર બોર્ડ્સને આશ્વાસન આપવા માગું છું કે આ ઇવેન્ટ દરમ્યાન શ્રેષ્ઠ અનુભવ તેમ જ ઘર જેવી હૉસ્પિટલિટી મળી રહે એ માટે અમે પૂરતા પ્રયાસ કરીશું. કોરોનાની આ મહામારીમાં અમે સ્વાસ્થ્યને લગતી દરેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બનતા બધા જ પ્રયાસ કરીશું. અમને ભરોસો છે કે અમે દરેક પડકારને પહોંચી વળીશું. કોરોનાકાળમાં અનેક પડકારો હશે પણ આઇસીસીને ભરોસો આપવા માગું છું કે ભારતીય ક્રિકેટ બોર્ડે પરિસ્થિતિ પ્રમાણે સંભવ બધા જ બદલાવ કરશે.’
મેન્સ ટી૨૦ વર્લ્ડ કપની સાતમી આવૃત્તિ પાંચ વર્ષ બાદ ભારત આવી છે. મહિલાઓની ટી૨૦ વર્લ્ડ કપ ઇવેન્ટ બાદ આ પ્રથમ ગ્લોબલ ક્રિકેટ ઇવેન્ટ હશે અને અે ભારતમાં યોજાઈ રહી છે. ટી૨૦ વર્લ્ડ કપ છેલ્લે ૨૦૧૬માં ભારતમાં યોજાયો હતો, જે વેસ્ટ ઇન્ડીઝ જીત્યું હતું.

આઇપીઅેલ માટે આઇસીસીઅે આપ્યાં અભિનંદન

આઇસીસીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર મનુ સાહનીઅે કોરોનાકાળમાં આઇપીઅેલના સફળ આયોજન બદલ ભારતીય ક્રિકેટ બોર્ડને અભિનંદન આપ્યાં હતાં અને કહ્યું હતું કે આના અનુભવને લીધે વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટના સફળતાપૂર્વક આયોજન કરવામાં મદદરૂપ થઈ રહે છે.

પાકિસ્તાન સહિત ૧૬ ટીમ લેશે ભાગ

આ ટી૨૦ વર્લ્ડ કપમાં ભારત, પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડીઝ, બંગલા દેશ, અફઘાનિસ્તાન, આયરલૅન્ડ, નામિબિયા, નેધરલૅન્ડ્સ, ઓમાન, પપુઆ ન્યુ ગિની અને સ્કૉટલૅન્ડ સામેલ છે.


ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી પણ આઇપીએલના સફળ આયોજનથી ખૂબ ખુશ હતા અને હવે ટી૨૦ વર્લ્ડ કપ માટે પણ તૈયાર હોવાનું જણાવ્યું હતું. વર્લ્ડ કપનું આયોજન એ અલગ પ્રકારની પડકાર છે અેમ કહીને ગાંગુલીએ કહ્યું હતું કે ‘મેં અેક ખેલાડી તરીકે ઘણી આઇસીસી ઇવેન્ટ માણી છે. મને ખબર છે કે આવી ટુર્નામેન્ટનો માહોલ ખૂબ રોમાંચક હોય છે, કેમ કે કરોડો લોકો તમને જોઈ રહ્યા હોય છે, પણ હવે એક ઍડ્મિનિસ્ટ્રેટિવ તરીકે મારી જવાબદારી નિભાવવા માટે હું તૈયાર છું. અમે વર્લ્ડ કપ ૨૦૨૧ના યજમાની માટે તૈયાર છીએ.’

cricket news t20