ખરાબ બૅટિંગ-પ્રદર્શનથી નિરાશ થયેલા અભિષેક શર્માને પ્રોત્સાહન આપ્યું સૂર્યાએ

28 July, 2026 11:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝમાં નિરાશાજનક બેટિંગ બાદ અભિષેક શર્માએ મજબૂત વાપસીનું વચન આપ્યું. તેની પોસ્ટ પર સૂર્યકુમાર યાદવે પ્રોત્સાહન આપતાં કહ્યું કે યોગ્ય સમય આવતાં તે ફરી ચમકશે.

અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવ

ભારતીય ઓપનર અભિષેક શર્માએ ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝમાં પંચાવનના સ્ટ્રાઇક-રેટથી માત્ર ૧૧ રન કર્યા હતા. અભિષેક શર્માએ ત્રણ મૅચમાં અનુક્રમે ૧, ૮ અને બે રન કર્યા હતા. આ વર્ષે ૨૩ T20 ઇન્ટરનૅશનલમાંથી ૧૫ ઇનિંગ્સમાં તેણે ૨૦ રનથી ઓછા રનનો સ્કોર કર્યો છે. 
૨૦૨૬માં તેણે T20 ઇન્ટરનૅશનલમાં ૧૮૫.૫૫ના સ્ટ્રાઇક-રેટથી ૫૧૪ રન કર્યા છે. એમાંથી તેણે ૬ ઇનિંગ્સમાં એક પણ રન કર્યો નહોતો અને પાંચ ઇનિંગ્સમાં ૫૦ રનથી વધુનો સ્કોર કર્યો હતો. 
ઝિમ્બાબ્વે સામે ખરાબ બૅટિંગ-પ્રદર્શન પછી અભિષેક શર્માએ સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘જ્યારે તમે લોકોની અપેક્ષાઓ પર ખરા ઊતરવામાં નિષ્ફળ જાઓ છો ત્યારે દુઃખ થાય છે, પરંતુ આ રમત હંમેશાં દૃઢતાથી કામ કરનારાઓને પુરસ્કાર આપે છે. મને ખુશી છે કે ટીમ જીતી ગઈ અને હું મજબૂત વાપસી કરીશ.’
અભિષેક શર્માની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં ભૂતપૂર્વ T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે લખ્યું કે ‘છેલ્લાં બે વર્ષમાં તેં અમને ખુશ રહેવાનાં ઘણાં કારણો આપ્યાં છે. જ્યારે ભારતને સૌથી વધુ જરૂર હતી ત્યારે તેં અમને ગૌરવ અપાવ્યું. તારે ફક્ત યોગ્ય ક્ષણની રાહ જોવાની જરૂર છે. તું જેવાં નિર્ભય છે એવો જ રહે.’

સૂર્યકુમાર યાદવે ૩ કલાકમાં ૧૦૦૦ બૉલનો સામનો કર્યો નેટ- પ્રૅક્ટિસમાં

સૂર્યકુમાર યાદવે ભારતની T20 ટીમમાં પોતાનું સ્થાન ગુમાવ્યું હોવા છતાં ટીમ-મૅનેજમેન્ટનો વિશ્વાસ પાછો મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. ૩૫ વર્ષનો સૂર્યકુમાર યાદવ સમયાંતરે પોતાની નેટ-પ્રૅક્ટિસના વિડિયો શૅર કરી રહ્યો છે. તેણે હાલમાં શૅર કરેલા વિડિયોમાં તે ફિટનેસ જાળવી રાખવા રનિંગ કરતો જોવા મળ્યો હતો. તેણે ખુલાસો કર્યો હતો કે ‘રવિવારે મેં ત્રણ કલાકના નેટ-સેશનમાં ૧૦૦૦ બૉલનો સામનો કર્યો.’

sports news sports cricket news suryakumar yadav abhishek sharma