18 May, 2020 01:42 PM IST | New Delhi | Agencies
બીસીસીઆઈ
કોરોના વાઇરસને લીધે વિશ્વભરનું ખેલજગત અટકી પડ્યું છે એવામાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડને જુલાઈના મધ્યમગાળામાં યોજાનારી ટૂર રદ ન કરવાની અરજી કરી હતી જેના જવાબમાં બીસીસીઆઇએ કહ્યું કે હાલની પરિસ્થિતિ જોતાં આ ટૂર યોજવી મહદંશે અસંભવ લાગી રહી છે.
જુલાઈ મહિનામાં ઇન્ડિયન ક્રિકેટ ટીમ શ્રીલંકા સાથે ત્રણ વન-ડે અને ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ રમાવાની હતી, પણ કોરોનાને લીધે આ સિરીઝ યોજવી મુશ્કેલ લાગી રહ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારી પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે આ સિરીઝ યોજવી અસંભવ લાગી રહી છે. અમારા કેટલાક પ્લેયર મુંબઈમાં તો કેટલાક બૅન્ગલોરમાં અટવાયેલા છે અને આ બન્ને ઝોન કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત થયા છે. વિરાટ કોહલી કે રોહિત શર્માની પરવાનગી લેતાં પહેલાં એ જ જોવું જોઈએ કે આવી સ્થિતિમાં શું ઇન્ટરનૅશનલ ટ્રાવેલની પરવાનગી છે? માટે આપણે આ સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી રાહ જોવી જ રહી. સરકાર આ સમસ્યાના નિવારણ માટે કેવાં પગલાં ભરે છે એ જોવાનું રહેશે છતાં જુલાઈના મધ્યમગાળા સુધી ટ્રાવેલ કરવાની પરવાનગી મળશે એ વાત મને અઘરી લાગે છે. બીસીસીઆઇ પોતાનાં દરેક કમિટમેન્ટ પૂરાં કરવા માગે છે, પણ સાથે-સાથે બન્ને દેશોના પ્લેયરોની સુરક્ષા પણ જરૂરી છે. રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં ટ્રાવેલ કરવું પણ અઘરું છે. નજીકના સમયમાં જો સરકાર કોઈ રાહત આપે તો જરૂર કંઈક થઈ શકે.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડને આ સિરીઝ યોજવા માટેનો વિકલ્પ શોધવાની અરજી કરતી ઈ-મેઇલ કરી હતી આ ઉપરાંત આઇપીએલ યોજવા માટે પણ શ્રીલંકાએ તત્પરતા દેખાડી હતી.