12 August, 2019 09:00 PM IST | Mumbai
Mumbai : ટીમ ઇન્ડિયામાં છેલ્લા ઘણા સમયથી નંબર 4 ના સ્થાન પર પ્રશ્નાર્થચિન્હ છે. ત્યારે ભારતીય ટીમના પૂર્વ સુકાની સુનીલ ગવાસ્કરનું માનવું છે કે ઋષભ પંતની તુલનામાં શ્રેયસ ઐય્યર વન-ડેમાં ઇન્ટરનેશનલ સ્તર પર ચોથા સ્થાન માટે સારો વિકલ્પ છે અને ભારતીય મધ્યમક્રમમાં તેને સ્થાન મળવું જોઇએ. એક વર્ષ બાદ ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર ઐય્યરે વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી વન-ડેમાં 68 બોલમાં 71 રનની ઇનિંગ રમી હતી અને ટીમની 59 રનની જીતમાં તેની મહત્વની ભૂમિકા હતી.
ઐય્યર ભારતીય ટીમમા ચોથા સ્થાન પર બેટિંગ માટેનો દાવેદાર છે પરંતુ ટીમ મેનેજમેન્ટ હાલમાં 50 ઓવરમાં આ સ્થાન પર વિકેટકીપર બેટ્સમેન પંચને તક આપી રહ્યુ છે. ગવાસ્કરે કહ્યું કે, મારા મતે પંત ધોનીની જેમ પાંચમા કે છઠ્ઠા સ્થાન પર ફિનિશરના રૂપમાં સારો છે. કારણ કે તે ત્યાં પોતાની સ્વાભાવિક રમત રમી શકે છે.
ગવાસ્કરે કહ્યું કે, કોહલી, ધવન, રોહિત શર્મા જો ભારતને સારી શરૂઆત અપાવે છે અને 40-45 ઓવર સુધી બેટિંગ કરે છે તો પંત ચોથા સ્થાન પર ઠીક છે પરંતુ જો 30-35 ઓવર સુધી બેટિંગ કરવાની હોય તો મને લાગે છે કે ઐય્યર ચોથા અને પંત પાંચમા સ્થાન પર હોવા જોઇએ. ટી-20 સીરિઝમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહેનાર ઐય્યરે કેપ્ટન કોહલી સાથે 125 રનની ભાગીદારી કરી હતી જેનાથી ભારતે સાત વિકેટમાં 279 રન બનાવ્યા હતા.