18 April, 2026 04:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐયર
મુંબઈકર શ્રેયસ ઐયર કૅપ્ટન તરીકે છેલ્લાં પાંચ વર્ષથી મુંબઈ ઇન્ડિયન્સ પર ભારે પડ્યો છે. તેની આગેવાનીમાં પંજાબ કિંગ્સે હાલમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે હૅટ-ટ્રિક જીત નોંધાવી હતી. તે કૅપ્ટન તરીકે છેલ્લે મુંબઈની ટીમ સામે ૨૦૨૦ની ફાઇનલ મૅચ હાર્યો હતો. એ સમયે તે દિલ્હી કૅપિટલ્સનો કૅપ્ટન હતો. જોકે ત્યાર બાદ છેલ્લાં પાંચ વર્ષથી તે મુંબઈ સામે કૅપ્ટન તરીકે અજેય રહ્યો છે. કૅપ્ટન શ્રેયસ ઐયર લાગલગાટ ૯ મૅચ જીત્યો છે.
વર્ષ ૨૦૨૧માં દિલ્હી કૅપિટલ્સ સામે તેણે મુંબઈ સામે ૬ વિકેટે અને ચાર વિકેટે જીત નોંધાવી હતી. વર્ષ ૨૦૨૨માં કોલકાતા નાઇટ રાઇડર્સ વતી મુંબઈને પાંચ વિકેટે અને ૫૪ રને હરાવ્યું હતું. વર્ષ ૨૦૨૩માં તે અનફિટ હોવાને કારણે આખી સીઝન રમી શક્યો નહોતો. વર્ષ ૨૦૨૪માં કલકત્તા વતી મુંબઈને ૨૪ રન અને ૧૮ રને હરાવ્યું હતું. વર્ષ ૨૦૨૫થી ૨૦૨૬ દરમ્યાન પંજાબ કિંગ્સ વતી તેણે મુંબઈને સતત ત્રણ મૅચમાં અનુક્રમે સાત વિકેટે પાંચ વિકેટે અને સાત વિકેટે હાર આપી છે.