11 October, 2025 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાર્દૂલ ઠાકુર બન્યો મુંબઈ રણજી ટીમનો નવો કૅપ્ટન
ભારતીય ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરને મુંબઈ રણજી ટીમનો નવો કૅપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. નવી ડોમેસ્ટિક સીઝન પહેલાં અનુભવી ક્રિકેટર અજિંક્ય રહાણેના રાજીનામાને કારણે આ પદ ખાલી પડ્યું હતું. ૩૩ વર્ષનો શાર્દૂલ ઠાકુર ૯૭ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મૅચમાં બે સદી અને ૧૭ ફિફ્ટીના આધારે ૨૬૮૮ રન કરી ચૂક્યો છે. ૧૫-૧૫ વખત એક મૅચમાં ૪ વિકેટ અને પાંચ વિકેટ લેનાર શાર્દૂલ ૩૦૨ વિકેટ લઈ ચૂક્યો છે. દુલીપ ટ્રોફી ૨૦૨૫ની સેમી ફાઇનલમાં હારનાર વેસ્ટ ઝોનનો કૅપ્ટન શાર્દૂલ પાસે કૅપ્ટન્સીનો મર્યાદિત અનુભવ છે.
મુંબઈ ૨૦૨૫-’૨૬ રણજી ટ્રોફી સીઝનની પહેલી મૅચ ૧૫થી ૧૮ ઑક્ટોબર દરમ્યાન શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમ ખાતે જમ્મુ ઍન્ડ કાશ્મીર સામે રમશે. આ મૅચ માટે જાહેર થયેલી ૧૬ સભ્યોની મુંબઈની સ્ક્વૉડમાં આયુષ મ્હાત્રે, અજિંક્ય રહાણે, શિવમ દુબે, સરફરાઝ ખાન, મુશીર ખાન અને સિદ્ધેશ લાડ જેવા સ્ટાર પ્લેયર્સને સ્થાન મળ્યું છે. રેડ બૉલ ક્રિકેટ બોર્ડમાંથી વિરામને કારણે શ્રેયસ ઐયર અને નૅશનલ ડ્યુટીને કારણે યશસ્વી જાયસવાલ અને સૂર્યકુમાર યાદવ સિલેક્શન માટે ઉપલબ્ધ નહોતા.